સ્ત્રીમાંથી પુરુષ કરતાં પુરુષમાંથી સ્ત્રી થવાની સર્જરી વધી:ગુજરાતમાં આંતરડામાંથી પ્રાઇવેટ પાર્ટ બનાવવાની નવી ટેક્નિક, એકથી દોઢ વર્ષનો લાગે છે સમય

ભારતીય ક્રિકેટ ટીમના એક સમયના સ્ટાર ખેલાડી સંજય બાંગરનો દીકરો હવે દીકરી બની ચૂક્યો છે. થોડા સમય પહેલાં જ આર્યન બાંગરે જેન્ડર ચેન્જ સર્જરી કરાવીને અનાયા નામ પણ રાખી લીધું. 2023માં તેણે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી પણ કરાવી હતી. આ મુદ્દે ખૂબ ચર્ચા થઈ અને લોકોએ પોતપોતાની રીતે તર્ક પણ સોશિયલ મીડિયા પર આપ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે આવી સર્જરી કરાવનારા લોકોનું પ્રમાણ ગુજરાતમાં પણ વધી રહ્યું છે. ગુજરાતનાં મોટાં શહેરો અમદાવાદ, સુરત અને વડોદરામાં પ્લાસ્ટિક સર્જન જેન્ડર બદલવાની સર્જરી કરી રહ્યા છે. ઘણા લોકોએ લાખો રૂપિયા ખર્ચીને પોતાના જ અંગમાંથી પ્રાઇવેટ પાર્ટ બનાવડાવીને સર્જરી કરાવી નવું જીવન જીવી રહ્યા છે.

અમદાવાદમાં રહેતી એક એવી વ્યક્તિ સાથે વાતચીત કરી, જેમણે થોડા સમય પહેલાં જ જેન્ડર સર્જરી કરાવી છે. તેઓ પુરુષમાંથી સ્ત્રી બન્યા છે. આ ઉપરાંત અમદાવાદ અને સુરતમાં જેન્ડર સર્જરી કરતા બે પ્લાસ્ટિક સર્જનનો પણ મત જાણ્યો, જેમાં ચેસ્ટ અને બોટમ સર્જરી કેવી રીતે થાય છે? અંગો કેવી રીતે બને છે? પ્રાઇવેટ પાર્ટ ઉપરાંત પણ કઈ-કઈ સર્જરી થાય છે અને કેવી કાયદાકીય પ્રક્રિયા અનુસરવી પડે છે? એ જાણકારી મેળવી હતી.

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ડૉ.હર્ષ અમીન ઘણા સમયથી પ્લાસ્ટિક સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં તેમણે 200 કરતા વધુ ટ્રાન્સજેન્ડરમાં બ્રેસ્ટ ઈમ્પલાન્ટની સર્જરી કરી છે. આ ઉપરાંત 65થી 70 લોકોની જનાઇટલ સર્જરી પણ કરી છે.

તેમણે જણાવ્યું, મોટાભાગના લોકો શોખથી જેન્ડર ચેન્જની સર્જરી નથી કરાવી રહ્યાં. આ એ લોકો હોય છે, જેમની અંદર જેન્ડર ડિસ્ફોરિયા હોય છે. જેમાં એ વ્યક્તિ પુરુષ હોય પરંતુ તેના વિચારો મહિલા જેવા હોય.

આર્યન બાંગર જેન્ડર ચેન્જ સર્જરી કરાવી છે. હવે તેમણે પોતાનું નવું નામ અનાયા બાંગર રાખ્યું છે.

છેલ્લાં પાંચ વર્ષામાં સર્જરી કરાવનારની સંખ્યા વધી સુરતમાં 2004થી પ્લાસ્ટિક સર્જરી કરનાર કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડૉ.આશુતોષ શાહે જણાવ્યું, જ્યારથી 377ની કલમ નાબૂદ કરવામાં આવી ત્યારથી સરકાર એક રીતે તેમને મદદ કરી રહી છે. પહેલાં તેને માનસિક બીમારી ગણવામાં આવતી હતી. પણ હવે ટ્રાન્સજેન્ડરને પણ નોર્મલ ગણવામાં આવે છે. ઘણી જગ્યાએ સ્ત્રી, પુરુષ અને અન્ય એમ ત્રણ ઓપ્શન લખવામાં આવે છે. એટલે છેલ્લાં પાંચેક વર્ષમાં સર્જરીનું પ્રમાણ ખૂબ વધ્યું છે.

સમાજમાં એવા કેટલાક લોકો છે જે જન્મથી પુરુષ હોય પણ તેમની વર્તણૂંક અને તેમની ગમતી વસ્તુઓ, પહેરવેશ મહિલાઓ જેવો હોય છે. આવા લોકો જો મનોચિકિત્સકની સલાહ લે અને તેમને જેન્ડર ડિસ્ફોરિયા હોવાનું પુરવાર થાય તો સર્જરી કરાવીને તેઓ ખૂબ સારી જિંદગી જીવી શકે છે. પણ સમાજના ડરના કારણે અને પૂરતી જાણકારી ન હોવાના કારણે આવા લોકો સાચા ડૉક્ટર સુધી પહોંચી શકતા નથી.

વર્ષો પહેલાં જેન્ડર ચેન્જની સર્જરી પ્રચલિત નહોતી. મનોચિકિત્સક આવા લોકોને ઈલેક્ટ્રિક શોક આપીને એમની થિંકિંગ પેટર્નને બદલવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ સમયાંતરે ખ્યાલ આવ્યો કે આ વસ્તુ શક્ય જ નથી. એટલે જેન્ડર રિઅસાઈનમેન્ટ સર્જરી કે જે ભૂતકાળમાં સેક્સ ચેન્જ સર્જરી કહેવાતી, એ પ્રચલિત થઈ.

વ્યક્તિની મરજી-જરૂરિયાત મુજબ સર્જરી થાય છે એક્સપર્ટના મતે જેન્ડર રિઅસાઈનમેન્ટ એટલે કે પુરુષમાંથી સ્ત્રી અને સ્ત્રીમાંથી પુરુષ બનવાની સર્જરી અલગ-અલગ પ્રકારે થાય છે. કેટલાક લોકો એવા હોય છે તે પ્રાઇવેટ પાર્ટ સહિત પોતાનું આખુ શરીર ટ્રાન્સફોર્મ કરાવડાવે છે. જ્યારે અમુક લોકો માત્ર સ્ત્રી કે પુરુષ જેવો દેખાવ કે બાંધો થઈ જાય એવી સર્જરી કરાવે છે.

આંતરડામાંથી બને છે પ્રાઇવેટ પાર્ટ તેઓ જણાવે છે, જૂની પદ્ધતિમાં વજાઇનાની ઊંડાઈ નહોતી ક્રિએટ કરી શકતા. હવે આંતરડાની મદદથી વજાયના બનાવીએ છીએ એટલે ઘણા પ્રશ્નોનું નિરાકરણ લાવી શક્યા છીએ. અમે એક ફિમેલમાં હોય એવી જ વજાઇના ડેવલપ કરી આપીએ છીએ. એટલે કુદરતી રીતે 100 ટકા તો નહીં પણ એની જેટલા નજીક લઈ જઈ શકીએ એવો સર્જિકલ એક્સપિરિયન્સ અમે આપી શકીએ છીએ.

ડૉ.હર્ષ અમીનના જણાવ્યા પ્રમાણે આ સર્જરી અન્ય કરતા અલગ છે. એવું નથી કે કોઈ વ્યક્તિ મોં માગ્યા રૂપિયા આપે અને સર્જરી થઈ જાય. કારણ કે એકવાર સર્જરી થઈ ગયા પછી દર્દીને લાગે કે ખોટું કરાવ્યું, આવી જરૂર ન હતી. હવે ફરીથી પહેલાં જેવી જ સ્થિતિ કરી આપો, તો એ શક્ય નથી. એટલે પહેલાં જ જાણી લેવું પડે કે જે તે વ્યક્તિને જેન્ડર ચેન્જની સર્જરી કરાવે તો તેની જિંદગીમાં સકારાત્મક બદલાવ આવશે કે નહીં.

સર્જરી પહેલાં એફિડેવિટ જરૂરી સર્જરી પહેલાં ત્રણ-ચાર પ્રકારના એફિડેવિટ તૈયાર કરવામાં આવે છે. જેમાં વકીલની હાજરીમાં જ આ સર્જરીથી થતી મુશ્કેલી અને સર્જરીના જોખમો તેમજ સર્જરી કરાવનાર પરિણિત છે કે નહીં? વ્યક્તિ પોતે આ સર્જરી કરાવવા માટે માનસિક રીતે તૈયાર છે, તેમને કોઈએ દબાણ કરેલું નથી, પતિ કે પત્ની પણ આ બાબતે રાજી છે, તેમને વાંધો નથી. આવી વિગતો એફિડેવિટમાં લખવાની હોય છે. એકવાર ડોક્યુમેન્ટેશન પૂરું થઈ ગયા પછી જ સર્જરીની પ્રક્રિયા શરૂ થાય છે.

જેન્ડર ચેન્જ સર્જરીનું પહેલું સ્ટેપ એટલે હોર્મોન્સ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવતા પહેલાં હોર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરાપી કરવામાં આવે છે. જેમ કે પુરુષમાંથી સ્ત્રી થવું હોય તો એમાં ફિમેલ હોર્મોન્સના ઇન્જેક્શન કે ગોળીઓ આપવામાં આવે છે. જો 6 મહિના હોર્મોન્સ થેરાપી લીધા પછી દર્દીને એમ લાગે છે કે આ બરાબર નથી તો ત્યાં જ અટકી શકાય છે.

મનોચિકિત્સકના સર્ટિફિકેટ વગર સર્જરી ન થઈ શકે જો બ્રેસ્ટ સર્જરી કરાવવી હોય તો એક મનોચિકિત્સકનું સર્ટિફિકેટ જોઈએ. જેમાં ઉલ્લેખ હોય કે આ વ્યક્તિની વિચારવાની શક્તિ સામાન્ય છે. તેને જેન્ડર ડિસ્ફોરિયા છે. જો તે વ્યક્તિની સેક્સ રિઅસાઈમેન્ટ સર્જરી થશે તો તેની જિંદગી સુધરી શકે તેમ છે. આ સર્ટિફિકેટ બાદ જ પ્લાસ્ટિક સર્જન તેની સર્જરી કરે છે.

જો બોટમ સર્જરી કરાવવી હોય, જેમાં પેનિસમાંથી વજાઇના અથવા તો વજાયનામાંથી નવું પેનિસ ક્રિએટ કરવાનું હોય તો આવા કિસ્સામાં બે મનોચિકિત્સકના સર્ટિફિકેટની જરૂર પડે છે. જેમાં બન્ને મનોચિકિત્સક અલગ-અલગ રીતે પોતાના મંતવ્યો રજૂ કરે કે જેન્ડર ચેન્જ માટે સર્જરી કરવાથી આ વ્યક્તિની જિંદગી સુધરે એમ છે. તો જ સર્જરી થઈ શકે છે.

22 કે 23 વર્ષની ઉંમરે સર્જરી કરાવવી યોગ્ય ડૉ.હર્ષ અમીને કહ્યું, અમે 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિની આવી સર્જરી નથી કરતા. 22 કે 23 વર્ષની ઉંમર પછી આવી સર્જરી કરાવવી યોગ્ય છે, કારણ કે એ સમયે કોઈના પ્રભાવમાં આવીને આવા નિર્ણય લેવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે.

સર્જરી કરાવવા માટે આવતા લોકોની ઉંમર મોટે ભાગે 30થી 40 વર્ષનું હોય છે. સ્ત્રીમાંથી પુરુષ થવાની સર્જરી મુશ્કેલ છે. એમાં ઈરેક્શન, સેક્સ વગેરેમાં થોડી મુશ્કેલી આવે છે. જ્યારે પુરુષમાંથી સ્ત્રી બનવાની સર્જરી સાપેક્ષમાં થોડી સરળ છે. એટલે તેમની સંખ્યા વધી છે.

શરીરથી સ્ત્રી કે પુરુષ બન્યા પછી સર્ટિફિકેટમાં નામ બદલવાની પ્રક્રિયા એકવાર સર્જરી થઈ ગયા પછી જે તે વ્યક્તિના તમામ ડૉક્યુમેન્ટમાં પણ તેનું જેન્ડર બદલવાની પ્રક્રિયા કરવાની હોય છે. જ્યારે સર્જરી પૂરી થાય છે એ પછી ડૉક્ટર જ એક સર્ટિફિકેટ આપે છે, જેમાં લખ્યું હોય કે જે તે વ્યક્તિએ જેન્ડર ચેન્જની સર્જરી કરાવી છે. આ સર્ટિફિકેટને સરકારી હોસ્પિટલના રેડિટન્ડ મેડિકલ ઓફિસરને બતાવામાં આવે છે. તેઓ આ સર્ટિફિકેટની ખરાઈ કરી આપે. પછી વકીલ મારફતે ગેઝેટમાં પબ્લિશ કરાવવાનું હોય છે. એકવાર ગેઝેટમાં પબ્લિશ થઈ જાય પછી આધાર કાર્ડ, સ્કૂલ માર્કશીટ સહિતના તમામ ડૉક્યુમેન્ટમાં ફેરફાર માટે અરજી કરી શકે છે.