‘એના હાથે મને સિંદૂર પણ ન પૂરતા’:પરિણીતાએ ત્રણ બાળકો સાથે દવા પીધી; બે વર્ષનું બાળક અને પરિણીતાનું મોત, ‘મમ્મી-પપ્પા, ભાઈ તમે રડતાં નહીં, હંમેશાં ખુશ રહેજો’

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પરિણીતાએ ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. દવા પીધા બાદ સારવાર માટે ચારેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં માતા અને પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે હાલ બે બાળકીઓ સારવાર હેઠળ છે. પરિણીતાએ બાળકોને કોલ્ડ્રિંક્સમાં ઘઉંમાં નાંખવાની દવા આપી અને પોતે પણ પી લીધી.

આત્મહત્યા કરતા પહેલાં પરિણીતાએ સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં તેણીએ લખ્યું છે કે,’મમ્મી-પપ્પા, ભાઈ તમે રડતાં નહીં, હંમેશાં ખુશ રહેજો અને એના હાથે મને સિંદૂર પણ ન પૂરતા’

મળતી માહિતી પ્રમાણે, શહેરના ઓઢવ વિસ્તારમાં પરિણીતા કૃપા પંચાલ તેના પતિ, એક પુત્ર વ્રજ અને બે પુત્રીઓ મેશ્વા અને દિવ્યા સાથે રહે છે. આજે સવારે પરિણીતાએ તેનાં ત્રણેય બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કોલ્ડ્રિંક્સમાં ઘઉંમાં નાખવાની દવા નાખી અને ત્રણેય બાળકોને પીવડાવી દીધી હતી ત્યાર બાદ પોતે પણ પી લીધું હતું. ત્રણેયને ઊલટીઓ થવા લાગતાં તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં પરિણીતા કૃપા અને તેના બે વર્ષના પુત્ર વ્રજનું મોત થયું છે જ્યારે બે બાળકીઓ હાલ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ઓઢવ પોલીસ દ્વારા પરિણીતાના ઘરે તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને સુસાઇડ નોટ મળી આવી છે. પરિણીતાએ સુસાઇડ નોટમાં મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યા નથી. પરિણીતાએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે, મમ્મી-પપ્પા હું બહુ થાકી ગઈ છું. મારે અને મારા છોકરાને નથી જીવવું. મારા ગયાં પછી તમે રડતા નહીં અને મને અને મારા છોકરાને અગ્નિદાહ તમે જ આપજો. તમારી દીકરી તરીકે મને વિદાય આપજો તમારી વહુ તરીકે વિદાય ન આપતા. એના હાથે સિંદૂર પણ ન પુરાવતા. મારે તમારા ઘરે પાછું નથી આવવું, હું કોઈના પર બોજો બનવા નથી માંગતી કે મારા છોકરાઓને નથી બનાવવા માંગતી એટલે હવે હું હવે આ પગલું ભરી રહી છું. આ ઘરમાં હવે મારું અને મારા છોકરાઓનું કંઈ જ નામોનિશાન ન રહેવું જોઈએ, હું કે મારા છોકરાઓ હોઈએ કે ના હોઈએ કશો જ ફરક નથી પડતો. બસ હવે હું જઉં, પપ્પા-મમ્મી, ભાઈ તમે અમને લોકોને યાદ કરીને રડતાં નહીં. હંમેશાં ખુશ રહેજો તમે લોકો.

ઓઢવ પોલીસે પુત્રની હત્યા બદલ મૃતક માતા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે અને હાલ પરિણીતાના આત્મહત્યા પાછળના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.