રેલવે અંડરપાસની કામગીરી ચાર માસથી ટલ્લે:શહેરા ભાગોળ પાસેના સ્થાનિકોએ થાળી વગાડ઼ી વિરોધ કર્યો

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાંથી દિલ્લી મુંબઈ રેલલાઈન પસાર થાય છે. ત્યારે અહી પહેલાના સમયમા ફાટક હોવાથી રેલ આવન જાવન વખતે ફાટક બંધ ચાલુ થતી રહેવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી સાથે કલાકો સુધી સમય પસાર કરવો પડતો હતો. ત્યારે અવરનવાર રજૂઆત કર્યા બાદ છેલ્લે માંગણીઓને ધ્યાને રાખીને અંડરપાસ બ્રિજ બનાવાની કામગીરી શરુ કરવામા આવી હતી. પણ કામગીરી શરુ કર્યા બાદ છેલ્લા ચાર માસથી કામગીરી બંધ રહેતા ભારે હાલાકીનો સામનો સ્થાનિક લોકોને વેઠવો પડી રહ્યો છે. અંડરપાસની કામગીરી જલદી શરુ કરવામા આવે તેવી માગ ઉઠી છે. આજ રોજ ગોધરા શહેરના સ્થાનિક લોકો સહિત વેપારીઓ દ્વારા નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર સાથે થાળી વગાડી વિરોધ નોંધાયો હતો.

ગોધરા શહેરા ભાગોળ ફાટકના નવીન બની રહેલા અંડરપાસની કામગીરી છેલ્લા ચાર માસથી બંધ રહેતા સ્થાનિક લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. જેમાં રેલ્વે પ્રશાસન અને ગોધરા નગરપાલિકા સાથે આર એન્ડ બી વિભાગ દ્વારા દોઢ વર્ષ અગાઉ શહેરા ભાગોળ અંડરપાસ બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ચાર માસથી કામગીરી કોઈ કારણોસર બંધ હોવાથી સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ થાળી વગાડી ગોધરા નગર પાલિકા હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતા.

અંડરપાસની કામગીરી ચાર મહિનાથી બંધ હોવાથી સ્થાનિક વેપારીઓને ધંધા રોજગાર પર ભારે અસર જોવા મળી રહ્યો છે. જ્યારે આજુબાજુ સ્થાનિક લોકોને રસ્તો બંધ હોવાના કારણે બે કિલોમીટર જેટલો ફેરો ફરવો પણ પડી રહ્યો છે. સ્થાનિક લોકો અને વેપારીઓની એક જ માગ કરવામાં આવી રહી છે કે તંત્ર દ્વારા વહેલી તકે આ અંડરપાસ બ્રિજની કામગીરી પૂર્ણ કરી રસ્તાને ખુલ્લો મુકવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરા ભાગોળ વિસ્તારમા મોટા જથ્થાબંધ વેપારીઓની દુકાનો આવેલી છે. જેથી અહી જિલ્લામાંથી નાના વેપારીઓ ખરીદી કરવા માટે આવે છે. તેના કારણે અહી ટ્રાફિકજામના દૃશ્યો સર્જાય છે. ત્યારે વહેલીતકે આ કામગીરી કરવામાં આવે તેવી માગ સ્થાનિક વેપારીઓ દ્વારા ઉઠવા પામી છે.

ગોધરા શહેરના શહેરા ભાગોળ ફાટક પાસે એલસી ફોરગેટ ઉપર અંડરપાસ બ્રિજ બનવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ છેલ્લા દોઢ વર્ષ જેટલો સમય થવા છતાં પણ અંડરપાસની કામગીરી પૂર્ણ કરવામાં ન આવતા આજુબાજુના સ્થાનિક રહીશ સાથે રાહદારીઓ અને વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જિલ્લા ત્રણથી ચાર મહિનાથી અંડરપાસ બ્રિજ બનાવવાની કામગીરી બંધ કરવી દેવામાં આવી છે. જેના કારણે સ્થાનિક રહીશ હેરાન પરેશાન થઈ ગયા છે.

બીજી બાજુ ધંધો રોજગાર બંધ હોવાના કારણે ધંધા ઉપર પણ ભારે અસર જોવા મળી રહી છે, વેપાર ધંધા ઠપ થઈ ગયા છે, ઘર પરિવારના બાળકોને ભરણપોષણ કરવું તો કઈ રીતે કરવું તે ખબર પડતી નથી. રેલવે પ્રશાસન અને નગરપાલિકા તંત્ર અને જેને કોન્ટ્રાક્ટ રાખ્યો છે તે કોઈપણ પ્રકારનું સાંભળવા તૈયાર નથી. હવે છેલ્લે આ બધા લોકો ભેગા મળીને રેલવે ટ્રેક ઉપર બેસવાની તૈયારીઓ બતાવી રહ્યા છે. કારણકે અહીંના સ્થાનિક લોકો થાકી ગયા છે અને ત્રાસી ગયા છે. છેલ્લા બે વર્ષથી કામ કરવામાં આવતું નથી, જેને કારણે નગરપાલિકાના હાય હાયના સૂત્રોચ્ચાર સાથે થાળી વગાડી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.