CM ભૂપેન્દ્ર પટેલે રવિવારે કેબિનેટની મિટિંગ કેમ બોલાવી કારણ શું : ગોધરાકાંડ વખતે રવિવારે જ મળી હતી કેબિનેટની બેઠક

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે આવતીકાલે, એટલે કે રવિવારે સાંજે કેબિનેટ બેઠક બોલાવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે. અનેક અફવા વચ્ચે કેબિનેટ બેઠકમાં એવો તો શું નિર્ણય લેવાશે એ અંગે આતુરતાપૂર્વક અધિકારીઓ અને મંત્રીઓ રાહ જોઈ રહ્યા છે. જોકે સવાલ એ છે કે આખરે બે દિવસ પહેલાં કેબિનેટ બેઠક યોજાવાની છે એવો મેસેજ મીડિયામાં વહેતા થયા એના પરથી જ લાગે છે કે સરકાર જ ઈચ્છે છે કે મીડિયામાં કેબિનેટ બેઠક અંગે ચર્ચા થાય.

જોકે એવું નથી કે ઇતિહાસમાં પ્રથમ વખત રવિવારના દિવસે કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હોય, અગાઉ પણ 3 મુખ્યમંત્રી આ રીતે રવિવારના રોજ કેબિનેટ બેઠક બોલાવી ચૂક્યા છે અને મહત્ત્વના નિર્ણય જાહેર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અગાઉ પણ ત્રણ એવા મુખ્યમંત્રી હતા, જેમણે રવિવારના રોજ કેબિનેટ બેઠક બોલાવી હતી અને રાજ્યની પ્રજા માટે તેમજ વહીવટી મહત્ત્વના નિર્ણય લીધા હોય.

અફવાબજાર વચ્ચે કેબિનેટ બેઠક પાછળ અનેક તર્ક-વિતર્ક

રવિવારના રોજ બેઠક યોજવા પાછળ થોડા દિવસ પહેલાં પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત બાદ ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જતા હોવાની તેમજ ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ મંત્રીમંડળમાં વિસ્તરણ અંગેની એમ બે અફવા ચાલી રહી હતી. આ બંને સિવાય ત્રીજો તર્ક એ પણ લગાવાઈ રહ્યો છે કે આગામી સમયમાં મહારાષ્ટ્ર ઇલેક્શન હોવાથી ગુજરાત સરકારના મંત્રીમંડળના અનેક મંત્રી પ્રચાર માટે જવાના છે.

તત્કાલીન મુખ્યમંત્રી મોદીના સમયમાં બે વખત રવિવારે કેબિનેટ બેઠક યોજાઈ હતી

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રવિવારના દિવસે કેબિનેટ બેઠક બોલાવી હતી. આ બેઠક કરવા પાછળ ઉદ્દેશ હતો ગોધરાકાંડની ઘટના. વર્ષ 2002ના ફેબ્રુઆરી માસમાં અસામાજિક તત્ત્વોએ શુક્રવારે સાબરમતી એક્સપ્રેસનો ડબ્બો સળગાવ્યો હતો. એ સમયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રવિવારના રોજ કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી.

આ સિવાય એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2001માં ગુજરાતના સીએમ તરીકે સત્તા સંભાળી ત્યારે 7 ઓક્ટોબર હતી. આ સમયગાળાને 22 વર્ષ પૂરાં થયાં હોવાથી ગુજરાત સરકાર સફળતા સપ્તાહની ઉજવણી કરવા ઇચ્છતી હોવા અંગે કેબિનેટ બેઠકમાં નિર્ણય લઈને બાદમાં જાહેરાત કરી શકે છે.

આ ઉપરાંત એક વાત એવી પણ છે કે આગામી 15 દિવસ બાદ દિવાળીની શરૂઆત થઈ રહી છે, ત્યારે કર્મચારીઓને એડવાન્સમાં પગારની ચુકવણી કરવા તેમજ મોંઘવારી ભથ્થાની જાહેરાત અંગે નિર્ણય કરવા માટે કેબિનેટ બેઠક બોલાવી હોઈ શકે છે.

અમિત શાહના ગૃહમંત્રી તરીકે રાજીનામા બાદ રવિવારે કેબિનેટ બેઠક યોજાઈ હતી

બીજી વખત તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીટ સમક્ષ હાજર થયા હતા ત્યારે તેમણે ગૃહમંત્રીપદ પરથી રાજીનામું આપ્યું હતું. અમિત શાહને બદલે પ્રફુલ પટેલ ગૃહમંત્રી બન્યા હતા. આ સમયે પણ રવિવારે કેબિનેટ બેઠક યોજાઈ હતી.

આનંદીબેનના સમયમાં રવિવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો

આનંદીબેન પટેલ ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે પણ રવિવારના રોજ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ કર્મચારીઓ માટે સાતમું પગારપંચ લાગુ કરવાની ભેટ આપતો નિર્ણય રાજ્ય સરકારે કર્યો હતો.

રૂપાણી સરકારે રવિવારની કેબિનેટ બેઠક બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો

વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે કોરોના જાહેર થયા બાદ 22 માર્ચ 2022ના રોજથી સરકારમાં કામગીરી બંધ કરવામાં આવી હતી, એટલે કે વિધાનસભાની કામગીરી અધવચ્ચેથી રોકવામાં આવી હતી. બાદમાં જ્યારે કોરોનાની સ્થિતિ થાળે થવા લાગી અને કામગીરી રાબેતા મુજબ કરવા માટે વ્યવસ્થા ઊભી કરવા સરકારે સજ્જ થતી ગઈ એ સમયે પણ સૌપ્રથમ જે કેબિનેટ બેઠક યોજાઈ હતી એ રવિવારના રોજ યોજાઈ હતી. આ સમયે રાજ્ય સરકારની કોરોના ગાઇડલાઇન જાહેરાત કરવામાં આવી હતી.