કર્ણાવતી કલબની સામે 40 લાખની લૂંટ : કારમાં પંચર છે કહીને કોન્ટ્રાક્ટરનું ધ્યાન ચૂકવીને કારમાં પડેલો થેલો લઈને લુટારુ ફરાર

અમદાવાદ શહેરમાં કર્ણાવતી ક્લબની સામેની તરફ આવેલા માર્ગ પર હાલ ઇનોવા કારમાંથી 40 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને અજાણ્યા શખસો ફરાર થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જતો હતો ત્યારે તેની કાર પાસે વાહન લઈને આવેલા બે શખ્સોએ કાર રોકીને કહ્યું કે, કારમાં પંચર છે. વેપારી ઉતરીને જોવા ગયો એટલીવારમાં કારમાં પડેલો થેલો લઈને બે શખસો રફૂચક્કર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા હાલ ઉચ્ચ અધિકારીઓ બનાવના સ્થળે પહોંચ્યા છે અને કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં શહેરમાં તહેવારોના કારણે અલગ-અલગ જગ્યાએ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એવા સમયે આજે કર્ણાવતી ક્લબની સામેની તરફ સેટેલાઈટ બાજુ જતા રસ્તા પર એક ઇનોવા કારને રોકીને બે વાહનચાલકોએ કહ્યું હતું કે, કારમાં પંચર છે અને કારમાં બેઠેલા વ્યક્તિ નીચે ઉતરીને જોતા હતા તે સમય જ કારમાં પડેલો 40 લાખ ભરેલો થયેલો લઈને શખસો ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.

આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ બનાવના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. હાલ આ સમગ્ર બનાવવા આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યાં ઝોન-7 DCP પહોંચ્યા છે અને સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. હાલ આ મામલે સમગ્ર વિસ્તારના CCTV ચેક કરવામાં આવી રહ્યા છે તેમજ પોલીસને એવી પણ શંકા છે કે, આંગડિયા પેઢીથી આ કારનો પીછો કરવામાં આવી રહ્યો હતો. હાલ આ સમગ્ર બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, હાલ લૂંટના બનાવની તપાસ માટે DCP કક્ષાના અધિકારી પહોંચ્યા છે. કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળ્યો હતો, તેને રસ્તામાં પંચર થયું છે એવું કહીને કાર રોકીને બે શખસો બેગ લઈને જતા રહ્યા હોય તેવું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.