વડોદરામાં 110 કિમીની ઝડપે પવન ફૂંકાતાં 20 મિનિટમાં તબાહી, 4નાં મોત, 29 વાહન દટાયાં

વડોદરામાં ગઇકાલે(25 સપ્ટેમ્બરે) મોડી સાંજે 110 કિમીની ઝડપે પવન ફૂંકાતા 20 મિનિટમાં તબાહી મચી ગઇ. 4નાં મોત 300થી વધુ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિંગ ધરાશાયી થઈ ગયાં. તો 26 ઓગસ્ટે 12 ઇંચ વરસાદથી 13નાં મોત અને 24 જુલાઇએ વરસેલા 14 ઇંચ વરસાદે શહેરને બાનમાં લીધું હતું. ઉલ્લેખનીય છે કે ગત માર્ચમાં વિકાસનાં કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવા વડોદરા પહોંચેલા મુખ્યમંત્રીએ ટકોર કરતા કહ્યું હતું કે, અમદાવાદ-સુરત બંનેનો વિકાસ થયો છે, ત્યારે વચ્ચે રહી ગયેલું વડોદરા કેમ પાછળ રહી ગયું?

વાતાવરણના નીચલા ભાગ પર પવનોના કારણે બનેલાં નવાં વાદળો અને અપર એર સર્ક્યુલેશનને કારણે વડોદરામાં બુધવારે મોડી સાંજે 6 વાગ્યે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. અનેક સ્થળોએ વસ્તુઓ હવામાં ઊડતી જોવા મળી હતી. એક રેસ્ટોરન્ટ પાસે આખેઆખી કેબિન ઊડીને દૂર ફેંકાઈ ગઇ હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સાંજે 20 મિનિટ પવનની ઝડપ 110 કિમીએ જતા 300થી વધુ વૃક્ષ ધરાશાયી થયાં છે. જ્યુબિલીબાગ સહિત 3 સ્થળે વીજ થાંભલા પડ્યા હતા. જ્યારે વાવાઝોડાને કારણે ચાર લોકોના મોત થયા છે. સાંજે 6થી રાતના 8 સુધીમાં 3 ઈંચ વરસાદ પડતાં ચાર દરવાજા સહિત 20થી વધુ વિસ્તારમાં પાણી ભરાયા હતાં.

ફાયર વિભાગમાં મળેલા કોલ મુજબ સવારે 6 વાગ્યા સુધીમાં 150 ઝાડ કટિંગની કામગીરી પૂર્ણ કરેલી છે. હજુ પણ શહેરમા એનેક જગ્યાએ ઝાડ પડેલા છે. અત્યાર સુધીમાં 14 કાર, 14 ટુ-વ્હીલર, 1 રિક્ષા મળી કુલ 29 વાહનોને નુકસાન થયું છે. ત્યારે શહેરમા હજુ પણ કેટલીય જગ્યાએ ઝાડ પડ્યા છે. સાથે આવાં વિસ્તારોમાં હજુ વીજ પુરવઠો ખોરવાયેલો છે. શહેરના જુનીગઢી વિસ્તારમા ઝાડ પડવાથી ત્રણ દુકાનોને નુકસાન પહોંચ્યું છે. સાથે વીજ પોલ ધરાશાયી થતા વીજ વાયરો તૂટી પડ્યા છે અને આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે. સ્થાનિકોની માગ છે કે, અમે છેલ્લા કેટલાય કલાકોથી વીજ વિભાગ અને ફાયર વિભાગને જાણ કરી છે છતાં પણ કોઈ અહીંયા આવ્યું નથી.

વાવાઝોડાના કારણે વીજ પુરવઠા અંગે માહિતી આપતા એમજીવીસીએલના સુપરિટેન્ડેન્ટ એન્જિનિયર ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે ભારે વાવાઝોડાના કારણે 40 જેટલા ફીડરો વડોદરા શહેરમાં બંધ પડ્યા હતા. જે મોડીરાત સુધીમાં કાર્યરત કરવામાં આવ્યા છે. હાલ સુધીમાં 57 વીજપોલ ધરાશાયી થયા છે. જ્યારે હાલમાં શહેરના તરસાલી માંડવી સહિતના બેથી ચાર જેટલા વિસ્તારોમાં વીજ પુરવઠો આપવાની કામગીરી ચાલી રહી છે.

પ્રચંડ વાવાઝોડાના કારણે એક 24 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે, તો જિલ્લાના પાદરામાં કિરણસિંહ છત્રસિહ રાઠોડ (ઉં.વ.50 રહે. પીપળીગામ ઘંટીવાળુ ફળિયુ તા.પાદરા જી.વડોદરા) ગઈકાલે સાંજે પોતાની બાઈક પર જતા હતા તે દરમિયાન અંબાશકરી નજીક રોડ ઉપર નીલગીરીનું મોટુ ઝાડ માથા પર પડતા ગંભીર ઈજા થતા તેમનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ શહેરના કપુરાઇ નજીક મૂળ વરાછા સુરતના 45 વર્ષીય જગદીશ હીરપરા પોતાની કાર લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન વિશાળ બોર્ડ તેમના પર પડતા તેમનું પણ મોત થયું હતું.

આ સાથે વરસાદી માહોલ વચ્ચે દાહોદના 29 વર્ષીય જનક નીનામા હાલોલથી વડોદરા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન ટોલટેક્સ પાસે જ તેઓની બાઈક સ્લીપ થઈ હતી અને તેઓને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ તમામ મૃતક વ્યક્તિઓની સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મુખ્ય સ્થળોએ પાણી ભરાયાં હતા

  • ચાર દરવાજા વિસ્તાર
  • એમ.જી. રોડ
  • નવાબજાર
  • રાવપુરા
  • નિઝામપુરા રોડ
  • ચોખંડીથી વિહાર સિનેમા
  • નોવીનો સર્કલથી મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ
  • માંજલપુર ઈવા મોલ સામે
  • માંજલપુર ગામ તરફ
  • વડસર કાંસા રેસીડેન્સી સહિતનો વિસ્તાર
  • ખોડિયાર નગરથી સરદાર એસ્ટેટ સુધીનો રસ્તો
  • નટુભાઈ સર્કલ