વન નેશન વન ઇલેક્શન ને લીલી ઝંડી : મોદી કેબિનેટમાં પ્રસ્તાવ પાસ

સમગ્ર દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે મોદી સરકાર આગળ વધી રહી છે. PMની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. રિપોર્ટ અનુસાર આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં વન નેશન વન ઈલેક્શનનું વચન આપ્યું હતું.

15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં વડાપ્રધાને વન નેશન-વન ઈલેક્શનની પણ હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઊભી કરી રહી છે. વન નેશન વન ઈલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટ 18 હજાર 626 પેજનો છે. આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. આ રિપોર્ટ સ્ટેકહોલ્ડર્સ-નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ 191 દિવસના રિસર્ચનું પરિણામ છે.

એકસાથે ચૂંટણીથી શું ફાયદો થશે?

  • ચૂંટણી દરમિયાન થતા કરોડોના ખર્ચમાં બચત.
  • સતત થતી ચૂંટણીથી છુટકારો.
  • ફોકસ ચૂંટણી પર નહીં, પરંતુ વિકાસ પર થશે.
  • સતત આચાર સંહિતાથી છુટકારો.
  • કાળાં નાણાં પર રોક પણ લાગશે.

32 રાજકીય પક્ષોનું સમર્થન

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ ‘વન નેશન, વન ઇલેક્શન’ના મુદ્દે 62 પક્ષોનો સંપર્ક કર્યો હતો અને પ્રતિક્રિયા આપનાર 47 રાજકીય પક્ષોમાંથી 32 પક્ષોએ એકસાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું, જ્યારે 15 પક્ષોએ વિરોધ કર્યો હતો. આ રિપોર્ટ અનુસાર કુલ 15 પક્ષોએ જવાબ આપ્યો નથી.

વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. તે 18,626 પેજનો છે. આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. આ રિપોર્ટ સ્ટેકહોલ્ડર્સ-નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ 191 દિવસનાં સંશોધનનું પરિણામ છે.

વન નેશન વન ઇલેક્શન એટલે શું?

હાલમાં ભારતમાં, રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો અર્થ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઇએ, એટલે કે લોકસભા અને રાજ્યની વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે.

આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમય પહેલાં વિસર્જન કરવામાં આવી હતી. એ બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી, જેના કારણે એક દેશ એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ.

Don`t copy text!