હરિયાણા વિધાનસભા ચૂંટણી ભાજપની બીજી યાદીમાં ૨૧ ઉમેદવારોના નામ, ૨ મંત્રીઓની ટિકિટ રદ, ૨ મુસ્લિમો પણ મેદાનમાં

હરિયાણા વિધાનસભા ચૂંટણી ૨૦૨૪માં બીજેપીની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. પાર્ટીએ બીજી યાદીમાં ૨૧ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પહેલા પાર્ટીએ પ્રથમ યાદીમાં ૬૭ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. હવે ૨૧ વધુ ઉમેદવારોના નામ સાથે પાર્ટીએ અત્યાર સુધીમાં ૮૮ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

હવે માત્ર ૨ ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. ભાજપે જુલાના વિનેશ ફોગટ સામે કેપ્ટન યોગેશ બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે અત્યાર સુધીમાં પ્રથમ અને બીજી યાદીમાં ૫ મંત્રીઓની ટિકિટ રદ કરી છે. તમને જણાવી દઈએ કે હરિયાણા વિધાનસભાની ૯૦ સીટો પર ૫ ઓક્ટોબરે મતદાન થશે. ચૂંટણીના પરિણામો ૮ ઓક્ટોબરે આવશે.

હરિયાણા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદીમાં ૨ મહિલાઓને ટિકિટ આપી છે. સોનીપતની રાય સીટ પરથી પ્રદેશ અયક્ષ મોહન બડોલીના સ્થાને કૃષ્ણા ગેહલાવતને તક આપવામાં આવી છે. જ્યારે બિમલા ચૌધરીને ગુરુગ્રામની પટૌડી (રિઝર્વ) સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ સાથે ભાજપે બે મુસ્લિમ ઉમેદવારોને પણ મેદાનમાં ઉતાર્યા છે. ફિરોઝપુર ઝિરકાના નસીમ અહેમદ પર દાવ લગાવવામાં આવ્યો છે. એજાઝ ખાનને પુન્હાનાથી ટિકિટ મળી છે. જ્યારે હિંદુ નેતા સંજય સિંહને મુસ્લિમ પ્રભુત્વવાળી નૂહ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

બેઠકોના ઉમેદવારો નારાયણગઢ પવન સૈની,પેહોવા જય ભગવાન શર્મા,પુન્દ્રી સતપાલ જામ્બા,અસંધ યોગેન્દ્ર રાણા,ગન્નૌર દેવેન્દ્ર કૌશિક,રાય કૃષ્ણ ગેહલાવત,બરોડા પ્રદીપ સાંગવાન,જુલાના કેપ્ટન યોગેશ બૈરાગી,નરવાના કૃષ્ણ કુમાર બેદી,ડબવાલી સરદાર બલદેવસિંહ માંગિયાણા,એલનાબાદ અમીરચંદ મહેતા,રોહતક મનીષ ગ્રોવર,નારનૌલ ઓમ પ્રકાશ યાદવ,બાવલ ડૉ.કૃષ્ણ કુમાર,પટૌડી બિમલા ચૌધરી,નુહ સંજય સિંહ,ફિરોઝપુર ઝિરકા નસીમ અહેમદ,પુન્હાના એજાઝ ખાન,હાથી મનોજ રાવત,હોડલ હરિન્દર સિંહ રામરતન,બદખાલ ધનેશ અડલાખા

ભારતીય જનતા પાર્ટીએ બીજી યાદીમાં અનેક મંત્રીઓની ટિકિટ રદ્દ કરી છે. રેવાડીની બાવલ સીટ પરથી મંત્રી બનવારી લાલની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. આરોગ્ય નિયામક પદેથી રાજીનામું આપનાર કૃષ્ણ કુમારને તેમના સ્થાને તક આપવામાં આવી છે. ફરીદાબાદની બદખાલ સીટ પરથી શિક્ષણ મંત્રી સીમા ત્રિખાની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. આ બેઠક પરથી ત્રિખાને બદલે ધનેશ અડલાખા પર દાવ મૂકવામાં આવ્યો છે.

કોંગ્રેસે કુસ્તીબાજ વિનેશ ફોગટને જુલાના સીટ પરથી ઉતાર્યા હતા. ફોગાટ સામે ભાજપે કેપ્ટન યોગેશ બૈરાગીને ટિકિટ આપી છે. ગત સપ્તાહે કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા હતા.તે જ સમયે, મહેન્દ્રગઢ બેઠક પરથી આરએસએસ કાર્યકર અને નિવૃત્ત શિક્ષક કૈલાશ પાલીએ ટિકિટ ન મળતા ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે પૂર્વ મંત્રી રામ બિલાસ શર્મા અહીંથી દાવેદાર છે. આથી હાલ આ બેઠક માટેના ઉમેદવાર ફાઈનલ થયા નથી.

હરિયાણામાં ભાજપે બુધવારે (૪ સપ્ટેમ્બર) ૬૭ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાંથી ૮ મંત્રીઓને ફરી ટિકિટ મળી છે. જ્યારે ૩ મંત્રીઓની ટિકિટ રદ કરવામાં આવી હતી. પાર્ટીએ પ્રથમ યાદીમાં ૨૫ નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે ૭ ધારાસભ્યોની ટિકિટ રદ કરવામાં આવી હતી. આ યાદીમાં ૮ મહિલાઓને પણ તક આપવામાં આવી છે.

કોંગ્રેસે અત્યાર સુધીમાં ૯૦ માંથી ૪૧ વિધાનસભા બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. રવિવારે પાર્ટીએ ૯ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે કુસ્તીબાજ વિનેશ ફોગટને જુલાનાથી મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડા, સુરેન્દ્ર પંવાર, ધરમ સિંહ છાઉકર, રાવ દાન સિંહ અને નૂહ હિંસાના આરોપી ધારાસભ્ય મમન ખાનને પણ ટિકિટ આપવામાં આવી છે, જેઓ ઈડ્ઢ કેસમાં સામેલ છે. કોંગ્રેસ હવે ૪૯ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરશે.

આમ આદમી પાર્ટીએ સોમવારે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. પ્રથમ યાદીમાં ૨૦ ઉમેદવારોના નામ છે.આપ દ્વારા ઉમેદવારોના નામ એકપક્ષીય રીતે એવા સમયે જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચા ચાલી રહી હતી. આપે ગઠબંધન અને સીટ વહેંચણીની ફોર્મ્યુલા અંગે સ્થિતિ સ્પષ્ટ કરવા કોંગ્રેસને સોમવાર સુધીનો સમય આપ્યો હતો.આપે પણ ૧૧ બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યાં કોંગ્રેસ પહેલાથી જ ઉમેદવારો જાહેર કરી ચૂકી છે. આવી સ્થિતિમાં અહીંની સ્પર્ધા રસપ્રદ બની છે.