મોટા ભાઈ રામવિલાસ પાસવાન જીવિત હતા ત્યારે ભાઈઓ વચ્ચે કોઈ અણબનાવ નહોતો,પશુપતિ

રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી ના વડા પશુપતિ કુમાર પારસે તેમના ભત્રીજા અને કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાન સાથે સમાધાનની કોઈપણ શક્યતાને નકારી કાઢીને કહ્યું કે હવે ઘણું મોડું થઈ ગયું છે. પારસે કહ્યું કે જ્યારે તેમના મોટા ભાઈ રામવિલાસ પાસવાન જીવિત હતા ત્યારે ભાઈઓ વચ્ચે કોઈ અણબનાવ નહોતો. ચિરાગ સાથે સમાધાનની શક્યતા અંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આવું ક્યારેય ન બની શકે. તે સ્થિતિ હવે રહી નથી. હવે ઘણું મોડું થઈ ગયું છે.

તેમણે કહ્યું, જ્યારે પક્ષો તૂટે છે, ત્યારે તેઓ એક થઈ શકે છે, પરંતુ જ્યારે હૃદય તૂટી જાય છે, ત્યારે તેઓ એક થઈ શક્તા નથી. પારસે કહ્યું કે પરિવાર એક હતો અને લોક જનશક્તિ પાર્ટી એક થઈ ગઈ હતી, પરંતુ રામવિલાસ પાસવાનના અવસાન પછી પરિવાર અને પાર્ટી બંને અલગ થઈ ગયા તે તેમની કમનસીબી છે. તેમણે કહ્યું કે પાર્ટીમાં વિભાજનનું કારણ બધા જાણે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે લગભગ ત્રણ અઠવાડિયા પહેલા તેઓ પટનામાં બીજેપીના બિહાર યુનિટના પ્રમુખ દિલીપ જયસ્વાલને મળ્યા હતા અને ત્યાર બાદ તેમને દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળવાનો મોકો મળ્યો.

તેમણે કહ્યું, આ દરમિયાન બિહારમાં ૨૦૨૫માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા થઈ હતી. એનડીએની એક્તા પર વિપક્ષો, ખાસ કરીને આરજેડી નેતા તેજસ્વી યાદવ અને તેમની બહેન રોહિણી આચાર્યની ટિપ્પણીઓને નકારી કાઢતા, આરએલજેપી પ્રમુખે કહ્યું કે ગઠબંધન સંપૂર્ણ રીતે એક છે.પારસે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશના સર્વસંમત નેતા છે અને તેઓ દરેકના હિતની વાત કરે છે.