રાહુલ ગાંધીએ સંઘ અને પીએમ પર જોરદાર પ્રહાર કર્યો,ચૂંટણી પરિણામ આવતા જ ભાજપ અને વડાપ્રધાનનો ડર ઓછો થઈ ગયો

  • ભારતના રાજકારણમાં નફરતનો માહોલ, રોજગારમાં ચીન ભારત કરતા આગળ

લોક્સભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે.તેમણે ટેક્સાસ યુનિવર્સિટી માં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું, ’આરએસએસ માને છે કે ભારત એક વિચાર છે. તે જ સમયે, અમે માનીએ છીએ કે ભારત વિચારોની બહુમતી છે. અમે માનીએ છીએ કે દરેકને ભાગ લેવાની છૂટ હોવી જોઈએ, સ્વપ્ન જોવાની છૂટ હોવી જોઈએ અને તેમની જાતિ, ભાષા, ધર્મ, પરંપરા અથવા ઇતિહાસને ધ્યાનમાં લીધા વિના સ્થાન આપવું જોઈએ. આ એક લડાઈ છે અને આ લડાઈ ચૂંટણીમાં વધુ સ્પષ્ટ થઈ જ્યારે ભારતના કરોડો લોકો સ્પષ્ટપણે સમજી ગયા કે ભારતના વડાપ્રધાન ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યા છે.

તેમણે કહ્યું, ’મેં તમને જે પણ કહ્યું છે, તે બધું બંધારણમાં છે. આધુનિક ભારતનો પાયો બંધારણ છે. ચૂંટણીમાં લોકોને જે સ્પષ્ટ રીતે સમજાયું અને મેં જોયું કે જ્યારે મેં બંધારણનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે લોકો સમજી ગયા કે હું શું કહી રહ્યો છું. તેઓ કહેતા હતા કે ભાજપ આપણી પરંપરા પર હુમલો કરી રહી છે, આપણી ભાષા પર હુમલો કરી રહી છે, આપણા રાજ્યો પર હુમલો કરી રહી છે, આપણા ઈતિહાસ પર હુમલો કરી રહી છે.

તેમણે વધુમાં કહ્યું, ’સૌથી મહત્ત્વની વાત એ છે કે તેઓ જે સમજ્યા તે એ છે કે જે કોઈ ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યો છે તે આપણી ધાર્મિક પરંપરા પર પણ હુમલો કરી રહ્યો છે. તેથી જ મેં સંસદમાં મારા પ્રથમ ભાષણમાં અભયમુદ્રા વિશે વાત કરી હતી. તે નિર્ભયતાનું પ્રતીક છે અને તે દરેક ભારતીય ધર્મમાં હાજર છે. જ્યારે હું આવું કહી રહ્યો હતો ત્યારે ભાજપ તેને સહન કરી શક્યું નહીં. તેઓ સમજી શક્તા નથી અને અમે તેમને સમજાવવાના છીએ.

આરએસએસ માને છે કે ભારત એક વિચાર છે અને અમે માનીએ છીએ કે ભારત વિચારોની બહુવિધતા છે. અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિને ભાગ લેવાની છૂટ હોવી જોઈએ, સ્વપ્ન જોવાની છૂટ હોવી જોઈએ અને તેમની જાતિ, ભાષા, ધર્મ, પરંપરા અથવા ઈતિહાસને યાનમાં લીધા વિના જગ્યા આપવી જોઈએ.

વિપક્ષના નેતાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ’બીજી વાત એ થઈ કે ભાજપનો ડર ગાયબ થઈ ગયો. અમે જોયું કે ચૂંટણીના પરિણામો પછી તરત જ, થોડી જ મિનિટોમાં, ભારતમાં કોઈ પણ વ્યક્તિ ભાજપ અથવા ભારતના વડા પ્રધાનથી ડરતું નથી. તેથી, આ મોટી સિદ્ધિઓ છે, રાહુલ ગાંધી કે કોંગ્રેસ પક્ષની નહીં. આ ભારતના લોકોની મોટી ઉપલબ્ધિ છે, જેમણે લોકશાહીને સમજ્યું, જેઓ સમજી ગયા કે આપણે આપણા બંધારણ પરના હુમલાને સ્વીકારવાના નથી. અમે અમારા ધર્મ, અમારા રાજ્ય પર હુમલો સ્વીકારવાના નથી.

અમેરિકામાં રહેતા ભારતીય ઈમિગ્રન્ટ્સ અંગે તેમણે કહ્યું કે જ્યારે તેઓ ભારતથી આ દેશમાં આવ્યા ત્યારે તેઓ બંધારણ, સન્માન અને નમ્રતાના મૂલ્યો લઈને આવ્યા હતા. તેમણે કહ્યું કે ભારતીયો પ્રેમ અને લાગણીથી અમેરિકામાં રહેવા આવ્યા છે.તેમણે કહ્યું, ’હું ડલ્લાસમાં લોકો સાથે વાત કરી રહ્યો છું અને તમે કોણ છો? તમે એવા લોકો છો જેઓ ભારતથી આવ્યા છો અને તમારી પાસે એવા મૂલ્યો છે જેનું હું વર્ણન કરું છું – બંધારણના મૂલ્યો, આદરના મૂલ્યો, નમ્રતાના મૂલ્યો.

તમે તેમને તમારા હૃદયમાં રાખો, તે બધા તમારા લોહીમાં છે. તેથી, તમે જ્યારે આ દેશમાં આવ્યા ત્યારે તમે અહંકાર સાથે નથી આવ્યા, તમે નમ્રતા સાથે આવ્યા છો, તમે નફરત સાથે નથી આવ્યા હતા, તમે પ્રેમ અને લાગણી સાથે આવ્યા છો, તમે અનાદર સાથે નથી આવ્યા હતા. રાહુલે કહ્યું કે દેવતાનો અર્થ એવી વ્યક્તિ જેમની આંતરિક ભાવનાઓ બરાબર એવી જ છે જેવા તેમના બહારના વિચાર. એટલે કે તે સંપૂર્ણ રીતે પાદર્શક છે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે જો કોઈ વ્યક્તિ મને તે બધુ જ બતાવે જે તે માને છે કે વિચારે છે અને તેને ખુલ્લેઆમ વ્યક્ત કરે છે તો તે દેવતાની વ્યાખ્યા છે. વાતચીત દરમિયાન તેમણે ભારતમાં વધતી બેરોજગારી, ચીનની ઉત્પાદન શક્તિ અને નફરતભરી રાજનીતિ પર વિસ્તૃત વાત કરી.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમારા રાજકારણ વિશે રસપ્રદ વાત એ છે કે તમે તમારા વિચારો કેવી રીતે દબાવો છો? તમે તમારા ડર, લાલચ અને મહત્વકાંક્ષાઓને કેવી રીતે દબાવો છો અને બીજા લોકોના ડર અને મહત્વકાંક્ષાઓનું કેવી રીતે નિરીક્ષણ કરો છો…રાહુલે ભગવાન રામથી લઈને ભગવાન શિવ સુધીનો ઉલ્લેખ કર્યો અને ભારતીય રાજકારણ વિશે પોતાના વિચારો રજૂ કર્યા.

રાહુલ ગાંધીએ કહ્યું કે જો તમે અમારા મહાન ઐતિહાસિક નેતાઓને જુઓ તો તમને એસ્ટ્રીમ દેખાશે. તમે બુદ્ધને જોઈ શકો છો, જે એક્સ્ટ્રીમનું પ્રતિનિધિત્વ કરે છે અને તમે ભગવાન રામ અને મહાત્મા ગાંધીને જોઈ શકો છો. મૂળ વચાર ઓળખનો વિનાશ, સ્વયંનો વિનાશ અને બીજાની વાત સાંભળવાનો છે. મારા માટે આ ભારતનું રાજકારણ છે- આ જ ભારતીય રાજકારણનું હાર્દ છે અને આ જ એક ભારતીય નેતાને પરિભાષિત કરે છે. તેમણે કહ્યું કે તમે શિવના વિચારને જાણો છો- જ્યારે તેઓ કહે છે કે શિવ સંહારક છે- તો તેઓ કોનો વિનાશ કરી રહ્યા છે? પોતાનો. આ વિચાર છે. તેઓ પોતાના અહંકાર, પોતાની સંરચના, પોતાની માન્યતાઓને નષ્ટ કરી રહ્યા છે. આથી ભારતીય રાજનીતિક વિચાર, અને કાર્ય તમામ અંદરની બાજુ જવા વિશે છે.

રાહુલ ગાંધીએ લોકોને પૂછ્યું કે શું તમે એકલવ્યની વાર્તા સાંભળી છે? ત્યારબાદ તેમણે કહ્યું કે જો તમે સમજવા માંગતા હોવ કે ભારતમાં શું થઈ રહ્યું છે તો દરરોજ લાખો કરોડો એકલવ્યની કહાની સામે આવે છે. આવડતવાળા લોકોને બાજુ પર હડસેલવામાં આવે છે- તેમને કામ કરામાં કે સફળ થવામાં મંજૂરી અપાઈ રહી નથી. અને આ ચારેબાજુ થઈ રહ્યું છે. આવડતનું સન્માન કરવું અને તેને આથક તથા ટેક્નિકલ રીતે સમર્થન આપવું એ જ એ રીત છે જેનાથી તમે ભારતની ક્ષમતાને ઉજાગર કરી શકો છો. તમે ફક્ત ૧-૨ ટકા વસ્તીને સશક્ત બનાવીને ભારતની શક્તિને ઉજાગર કરી શકો નહીં. આ મારા માટે રસપ્રદ નથી.

રાહુલ ગાંધીએ એક સવાલના જવાબમાં ચીનની ઉત્પાદન ક્ષમતાના પણ ખુબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે પશ્ર્ચિમમાં રોજગારની સમસ્યા છે. ભારતમાં રોજગારની સમસ્યા છે. પરંતુ દુનિયાના અનેક દેશોમાં રોજગારની સમસ્યા નથી. ચીનમાં ચોક્કસ રીતે રોજગારની સમસ્યા નથી. વિયેતનામમાં રોજગારની સમસ્યા નથી. તેનું એક કારણ છે. જો તમે ૧૯૪૦-૫૦ અને ૬૦ના દાયકામાં સંયુક્ત રાજ્ય અમેરિકાને જુઓ તો તે વૈશ્ર્વિક ઉત્પાદનનું કેન્દ્ર હતું. જે કઈ પણ બનાવવામાં આવતું હતું, કાર, વોશિંગ મશીન, ટીવી, બધુ અમેરિકામાં બનતું હતું. ઉત્પાદન અમેરિકામાંથી જતું રહ્યું. તે કોરિયા ગયું, જાપાન ગયું, છેલ્લે ચીન જતું રહ્યું. જો તમે જુઓ તો ચીન વૈશ્વિક ઉત્પાદન પર હાવી છે, તો શું થયું છે? પશ્ર્ચિમ, અમેરિકા, યુરોપ અને ભારતે ઉત્પાદનનો વિચાર છોડી દીધો છે અને તેમણે તેને ચીનને સોંપી દીધો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે ઉત્પાદનનું કાર્ય રોજગાર પેદા કરે છે. આપણે જે કરીએ છીએ, અમેરિકા જે કરે છે, જે પશ્ર્ચિમી કરે છે તે એ છે કે આપણે વપરાશને વ્યવસ્થિત કરીએ છે. ભારતે ઉત્પાદન કાર્ય અને ઉત્પાદનને વ્યવસ્થિત કરવા અંગે વિચારવું પડશે. આ સ્વીકાર્ય નથી કે ભારત બસ એ કહે કે ઠીક છે, વિનિર્માણ, જેને તમે વિનિર્માણ કે ઉત્પાદન કહો છો તે ચીનીઓનો વિશેષાધિકાર રહેશે. આ વિયેતનામીઓનો વિશેષાધિકાર રહેશે. તે બાંગ્લાદેશનો વિશેષાધિકાર રહેશે.