રાજ્ય કર્મચારી મહામંડળનું એલાન,મોદીના જન્મદિવસે, પેન ડાઉન અને શટ ડાઉન કાર્યક્રમથી બહિષ્કાર કરશે

વડાપ્રધાન મોદીના જન્મદિવસે રાજ્યમાં સરકારી કર્મચારીઓ આંદોલન કરશે તેવા એંધાણ છે. રાજ્ય કર્મચારી મહામંડળે એલાન કર્યું છે કે ૧૭મી સપ્ટેમ્બરે પેન ડાઉન અને શટ ડાઉન કાર્યક્રમ દ્વારા કામગીરીનો બહિષ્કાર કરાશે. એટલું જ નહીં, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પણ આવતા મહિને રાજ્યના દરેક ઝોનમાં સરકારી કર્મચારીઓ વિરોધ નોંધાવશે.

રાજ્યનાં કર્મચારીઓની માગ છે કે ૨૪ હજાર શિક્ષકો અને બીજા કર્મચારીઓ સહિત કુલ ૬૦ હજારથી વધુ કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમ અંતર્ગત પેન્શન ફાળવવામાં આવે. સરકારે બે વર્ષ અગાઉ જૂની પેન્શન યોજના હેઠળ પેન્શન આપશે તેવી જાહેરાત કરી હતી. કર્મચારીઓ માંગણી છે કે સમાધાન મુજબ નોટિફિકેશન બહાર પાડવામાં આવે તેમજ વૈકલ્પિક ફોર્મ ભરાવવામાં આવે. જ્યારે યોજનાનું એલાન કરવામાં આવ્યું ત્યારે જે તે સમયે તત્કાલિન પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, હર્ષ સંઘવી, જગદીશ વિશ્ર્વકર્મા, કનુ દેસાઈ, બ્રિજેશ મેરજા સાથેની વિસ્તૃત બેઠક બાદ જ નિર્ણય લેવાયો હતો. એવું પણ નક્કી કરાયું હતું કે ૨૦૦૫ પહેલા જે શિક્ષક તથા કર્મચારીઓ નિમાયેલા હશે તેમનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ થશે.

આ સરકારી કર્મચારીઓને લાભ નહીં મળવાનું કારણ એ છે કે જ્યારે તેઓ નોકરી પર લાગ્યા ત્યારે ફિક્સ પગારની નોકરી પર લાગ્યા હતા. ૫ વર્ષની નોકરી પૂરી થયા બાદ તેમને પૂરા પગારમાં લેવામાં આવ્યા હતા. આ કર્મચારીઓ જ્યારે નોકરી પર લાગ્યા ત્યારે નવી પેન્શન યોજના અમલમાં હતી, પૂરા પગારની નોકરીમાં એ આવ્યા કે તરત જ નવી પેન્શન યોજના હેઠળ આવરી લેવાયા હતા તેમ અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના અયક્ષ મિતેષ ભટ્ટે કહ્યું હતું. ૧ એપ્રિલ, ૨૦૦૫ પહેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના હેઠળ સમાવવાની જાહેરાત કરી પરંતુ આજ દિન સુધી તેનું અમલીકરણ કરાયું નથી.

૨૦૨૨માં સરકાર સાથે થયેલી બેઠકમાં ૫ મંત્રી હતા તેમાંથી આજે પણ ૩ મંત્રીપદ પર નથી. સરકાર પર આરોપ મૂક્તાં દિગ્વિજયસિંહ કહે છે કે, કોઈ ફાઈલની જરૂર નથી આ બધું સમય પસાર કરવા માટે કરવામાં આવે છે. ૩૦ હજાર જેટલા પ્રાથમિક શિક્ષક, ૨૫ હજાર માયમિક શિક્ષક, ૨૦૦૫ પહેલાં વારસાઇથી નોકરી મેળવનારા ૧ હજાર કર્મચારીઓ છે. આમ, ગુજરાતના ૬૦ થી ૬૫ હજાર એવા કર્મચારીઓ છે જે જૂની પેન્શન યોજનાના હકદાર છે.યુનિફાઇડ પેન્શન સ્કીમ વિશે જાડેજા આરોપ મૂક્તા કહે છે કે કેન્દ્ર સરકારે એનપીએસની જગ્યાએ યુપીએસની જાહેરાત કરવામાં આવી હતી. ઓક્ટોબર માસમાં થનારા આંદોલન વિશે તેઓ કહે છે કે, ઓક્ટોબરના ચારેય રવિવારે આંદોલન કરશે. એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે આજ સુધી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. ૨૦૨૨માં રચાયેલી કમિટીમાં ૫ મંત્રી હતા. જીતુ વાઘાણી, કનુ દેસાઇ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્ર્વકર્મા, બ્રિજેશ મેરજા. ૫ મંત્રીમાંથી હાલની સરકારમાં ૩ મંત્રી છે, કનુ દેસાઇ, હર્ષ સંઘવી અને જગદીશ વિશ્ર્વકર્મા.