અમરેલીમાં દાદીએ માર મારી – બચકાં ભરીને વર્ષના પૌત્રને મોતને ઘાટ ઉતાર્યો

ફરી એકવાર હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અમરેલીના રાજસ્થળી ગામમાં એક વર્ષના પૌત્રને બચકાં ભરી માર મારી દાદીએ જ ક્રૂર હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. રાત્રે બાળક રડતું હતું જેથી દાદીની ઉંઘમાં ખલેલ પહોંચતા દાદી ઉશ્કેરાઈ ગયા હતા. જેના કારણે દાદીએ માસૂમ બાળકને લાફા અને ધબ્બા મારીને બચકાં ભરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમાચાર વાયુવેગે પ્રસરતા આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

અમરેલીના રાજસ્થળી ગામમાં હુસેનભાઈ સૈયદ તેમના પત્ની કુલસનબેન, પુત્ર રફિકભાઈ ઉપરાંત પુત્રવધૂ અને પૌત્ર, પૌત્રી સહિતનો પરિવાર રહે છે. રહેણાંક મકાનમાં ઘોડિયા નજીક એક બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે મૃતક બાળકના દાદા હુસૈન બચુભાઈ સૈયદે જાણ કરતાં અમરેલી તાલુકા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ બાળક અલીરજાકના હાથ, પગ અને મોઢા પર બચકાંના નિશાન જોવા મળ્યા હતા. તેમજ શરીર પર મારના નિશાન પણ જણાઈ આવ્યા હતા. જેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મૃત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

શંકાસ્પદ હાલતમાં બાળકના મૃત્યુને કારણે પોલીસે પરિવારની પૂછપરછ કરી હતી. પરિવારની તપાસ કરતા બધાએ કંઈ ખબર નહીં હોવાનું કહ્યું હતું. જેથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ભાવનગર મેડિકલ કોલેજ ખાતે મોકલી આપ્યો હતો. જ્યાંથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા માસૂમ બાળકને અમાનવીય મારકૂટ કરવા સાથે આખા શરીરે નિર્દયતાપૂર્વક બચકાં ભરવામાં આવ્યાનું ખુલ્યું હતું.

આ મામલે પોલીસે જણાવ્યું કે, ગંભીર ઘટનામાં પરિવારજનો જ શંકાના દાયરામાં આવ્યા હતા. જેથી બધાની કડક પૂછપરછ કરાતા દાદી કુલસનબેન હુસેનભાઈ સૈયદે કબૂલી લીધું હતું કે, પોતે જ સવા વર્ષના માસૂમ પૌત્ર અલીરજાકને મારી નાખ્યો છે. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, રાત્રે ખૂબ ઉંઘ આવતી હતી ત્યારે જ પૌત્ર ઉઠીને ખૂબ રડવા લાગ્યો હતો. તે શાંત નહીં થતાં ઉશ્કેરાઈ જઈને ધબ્બા લાફા મારવા સાથે બચકાં પણ ભરી લીધા હતા. જેથી પૌત્ર બેશુદ્ધ જેવો થઈ ગયો હતો. જે બાદ તે મૃત્યુ પામ્યો હતો. દાદી કુલશનબેન વિરુદ્ધ ગુનો દાખલ કરીને પોલીસે ધરપકડ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.