રાજ્યમાં ભારે વરસાદથી અતિ પ્રભાવિત ૧૪ જિલ્લાના ૧.૬૯ લાખથી સહાયની ચૂકવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ભારે વરસાદથી અતિ પ્રભાવિત જિલ્લાઓમાં જનજીવન ઝડપભેર પૂર્વવત થાય અને અસરગ્રસ્ત જરૂરતમંદ પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણી પણ ત્વરાએ થાય તે અંગે જિલ્લા કલેકટરોને દિશાનિર્દેશ આપ્યા છે.આને પગલે સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની નિયમાનુસારની ચુકવણી પ્રક્રિયા અસરગ્રસ્તોનો સરવે કરીને હાથ ધરવામાં આવી રહી છે.

તદઅનુસાર, વરસાદથી અસર પામેલા જરૂરતમંદ વ્યક્તિઓ-પરિવારો કે જેમની રોજી-રોટીને અસર થઈ છે તથા ઘરવખરી સામાન તણાઈ જવાથી કે નાશ થવાથી નુક્સાન થયું છે તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવે છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા રાહત કમિશનર આલોકકુમાર પાંડે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લાઓમાં કુલ ૧૧૨૦ ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ જિલ્લાઓમાં તા. ૩ સપ્ટેમ્બર સુધીમાં ૧,૬૯,૫૬૧ વ્યક્તિઓને કુલ રૂ. ૮.૦૪ કરોડ રકમ કેશડોલ્સ પેટે ચૂકવવામાં આવી છે.એટલું જ નહિ, જે પરિવારોની ઘરવખરી-કપડાં વગેરે પાણીમાં તણાઈ જવાથી કે નુક્સાન થવાથી નાશ પામ્યા છે, તેવા પરિવારોની સરવે કામગીરી ૧૧૬૦ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ જિલ્લાઓના આવા ૫૦,૧૧૧ પરિવારોને કુલ રૂ. ૨૦.૦૭ કરોડથી વધુ રકમ ઘરવખરી અને કપડા સહાય પેટે ચૂકવવામાંઆવી છે.

વધુ વિગતો આપતા રાહત કમિશનરશ્રીએ ઉમેર્યું કે, આ સમયગાળા દરમિયાન માનવ મૃત્યુના કિસ્સામાં ૨૨ મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી કુલ રૂ. ૮૮ લાખની સહાય ચૂકવવામાં આવી છે. સાથે જ પશુ મૃત્યુના કિસ્સામાં મૃત્યુ પામેલા ૨,૬૧૮ પશુઓના માલિકોને કુલ રૂ. ૧.૭૮ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

આ ઉપરાંત ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કાચા મકાનો, પાકા મકાનો, આંશિક અને સંપૂર્ણ નુકશાન પામેલા મકાન અને ઝુંપડાનો પણ સરવે હાથ ધરીને અત્યાર સુધીમાં ૪,૬૭૩ મકાન-ઝુંપડા માલિકોને કુલ રૂ. ૩.૬૭ કરોડથી વધુની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે.

દક્ષિણ અને મય ગુજરાતમાં ગત બે દિવસ દરમિયાન વરસેલા વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં સરવેની કામગીરી પ્રગતિમાં છે અને પરિવારો-વ્યક્તિઓની સંખ્યાની વિગતો જેમ ઉપલબ્ધ થતી જશે, તેમ ઘરવખરી-કપડા સહાય, કેશડોલ્સ, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ ઉપરાંત કાચા પાકા મકાનમાં થયેલા નુકશાન માટે વધુ ચૂકવણીની પ્રક્રિયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે, તેમ રાહત કમિશનરશ્રીએ ઉમેર્યું હતું.

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે અસરગ્રસ્ત વિસ્તારોમાં દ્ગડ્ઢઇહ્લની ૧૭,એસડીઆરએફની ૨૭ તેમજ આર્મીની ૦૯ કોલમ ઉપરાંત એરફોર્સ અને કોસ્ટગાર્ડની ટીમો દ્વારા કુલ ૩૭,૦૫૦ લોકોને રેસ્ક્યુ તેમજ ૪૨,૦૮૩ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સાથે જ, ૫૩ વ્યક્તિઓને એરલીટ પણ કરવામાં આવ્યા હતા.