બ્રુનેઈની રાજધાનીથી ચેન્નાઈ સુધી સીધી હવાઈ સેવા અને સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રોમાં સહયોગ માટે પણ કરારો

બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગવાન અને ભારતના ચેન્નાઈ વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ થશે. આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રની બ્રુનેઈની મુલાકાત દરમિયાન કરવામાં આવી છે. સીધી હવાઈ સેવાઓ ઉપરાંત, બંને દેશો સંરક્ષણ, અવકાશ અને લોકો વચ્ચેના સંબંધોના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા માટે પણ સંમત થયા છે.

પીએમ મોદીની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે થયેલા કરારોથી ભવિષ્યમાં દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થવાની અપેક્ષા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત અને બ્રુનેઈએ ઉપગ્રહો અને પ્રક્ષેપણ વાહનો માટે ટેલીમેટ્રી, ટ્રેકિંગ અને ટેલિકોમન્ડ સ્ટેશનના સંચાલનમાં સહકાર માટે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.

પીએમ મોદી અને બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયાએ બુધવારે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન દ્વિપક્ષીય સંબંધો સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બંને નેતાઓએ બંદર સેરી બેગવાન અને ચેન્નાઈ વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ થવાનું પણ સ્વાગત કર્યું.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને બ્રુનેઈના પરિવહન અને માહિતી સંચાર મંત્રી મહામહિમ પેંગિરન દાતો શમહારી પેંગિરન દાતો મુસ્તફાએ સેટેલાઇટ અને લૉન્ચ વાહનો માટે ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને ટેલિકોમ કમાન્ડ સ્ટેશનના સંચાલનમાં સહકાર પર એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન પીએમ મોદી અને બ્રુનેઈના સુલતાન પણ હાજર હતા. વાટાઘાટો બાદ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે એક પ્રેસ રિલીઝમાં આ જાણકારી આપી.

સંયુક્ત નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદીએ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ ટેલિકોમન્ડ સ્ટેશનની યજમાની ચાલુ રાખવા બદલ બ્રુનેઈ દારુસલામની ઊંડી પ્રશંસા વ્યક્ત કરી હતી. આ સંસ્થાએ અવકાશ ક્ષેત્રે ભારતના ચાલી રહેલા પ્રયાસોમાં યોગદાન આપ્યું છે.સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ બંને સરકારો વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) હેઠળ લાંબા સમયથી ચાલતી વ્યવસ્થાની પ્રશંસા કરી અને પરસ્પર હિતના ક્ષેત્રોમાં વધુ સહયોગ માટે નવા એમઓયુનું સ્વાગત કર્યું. બંને નેતાઓએ સંરક્ષણ, વેપાર અને રોકાણ, ખાદ્ય સુરક્ષા, શિક્ષણ, ઉર્જા, અવકાશ તકનીક, આરોગ્ય, ક્ષમતા નિર્માણ અને સંસ્કૃતિ તેમજ લોકો-થી-લોકોના આદાન-પ્રદાન સહિતના વિવિધ વિષયો પર દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.

પીએમ મોદી અને બ્રુનેઈના સુલતાન પેરિસ કરાર જેવા આંતરરાષ્ટ્રીય આબોહવા ઉદ્દેશ્યો અનુસાર આબોહવા પરિવર્તનને સંબોધવાની તાત્કાલિક જરૂરિયાત પર સંમત થયા હતા અને આ વધતી જતી પડકારની પ્રતિકૂળ અસરોને ઘટાડવા માટેના પ્રયાસોને આગળ વધાર્યા હતા. તેઓ, ફિનટેક, સાયબર સુરક્ષા, નવી અને ઉભરતી તકનીકો અને પુન:પ્રાપ્ય ઉર્જા જેવા ક્ષેત્રોમાં અન્વેષણ કરવા અને સહયોગ કરવા સંમત થયા હતા.

વડા પ્રધાન મોદી અને બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયાએ પ્રાદેશિક અને વૈશ્ર્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ આતંકવાદની પણ નિંદા કરી હતી. બંને નેતાઓએ તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદનો વિરોધ કર્યો અને રાષ્ટ્રોને તેને નકારવા હાકલ કરી.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ દેશે તેના નિયંત્રણ હેઠળના પ્રદેશનો ઉપયોગ આતંકવાદ માટે થવા દેવો જોઈએ નહીં, કોઈપણ દેશ આતંકવાદીઓને આશ્રય આપવો જોઈએ નહીં. બંને નેતાઓએ આતંકવાદી કૃત્યોના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા માટે સાથે મળીને કામ કરવાનો સંકલ્પ લીધો હતો.

આતંકવાદ અને આંતરરાષ્ટ્રિય સંગઠિત અપરાધ વચ્ચેના સંબંધોને ઓળખીને, બંને નેતાઓ આ સંબંધમાં સહયોગ વધારવા સંમત થયા હતા. બંને પક્ષો આતંકવાદનો સામનો કરવા સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય બહુપક્ષીય મંચો પર સાથે મળીને કામ કરવા સંમત થયા હતા.