કૃષિ સુધાર માટે

કૃષિ સુધાર માટે

એક તરફ દેશમાં વિપક્ષો દ્વારા ખેડૂતોના મુદ્દા પર રાજકારણ રમાઈ રહૃાું છે, બીજી તરફ કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ અને સંબદ્ઘ ક્ષેત્રોના સમગ્ર વિકાસ માટે લગભગ 14000 કરોડ રૂપિયાના ખર્ચવાળા સાત મોટા કાર્યક્રમોને મંજૂરી આપી છે. હાલમાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓ થવાની છે, આગળ મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી અને બિહારમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.

રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે ત્રણ કૃષિ કાયદા વિરુદ્ઘ થયેલા ખેડૂત આંદોલન બાદથી હરિયાણા, પંજાબ, વેસ્ટ યુપી વગેરે ક્ષેત્રોના ખેડૂતોનો એક વર્ગ સરકારથી નારાજ છે, તેની અસર લોકસભા ચૂંટણી દરમ્યાન જોવા મળી ત્યારે હરિયાણામાં ભાજપ તમામ દસ સીટો પર જીત ન દોહરાવી શકી, પાંચ પર જ સંતોષ કરવો પડ્યો.

ત્રણયે કૃષિ કાયદાની વાપસી અને એમએસપી કાયદો બનાવવાના આશ્ર્વાસન પર ખેડૂતોએ આંદોલન ખતમ કર્યું હતું. જોકે સરકારે હજુ સુધી એમએસપી કાયદો નથી બનાવ્યો, આ કારણે કેટલાક ખેડૂતો નારાજ છે. એવામાં સરકાર દ્વારા કૃષિ ક્ષેત્ર સંબંધિત સાત મોટા કાર્યક્રમોનું એલાન કરવુ,ં ખેતી ક્ષેત્રને વધુ મજબૂત કરશે.

વડાપ્રધાન મોદીની સરકાર પોતાના શરૂઆતી કાર્યકાળથી જ ખેડૂતોની ભલાઈ અને કૃષિ ક્ષેત્રની કાયાપલટ પર ફોકસ કરતી રહી છે. ડિજિટલ કૃષિ મિશન અને પાક વિજ્ઞાન યોજના નવા પ્રકારના કાર્યક્રમ છે. તમામ સાત કાર્યક્રમોનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રમાં અનુસંધાન અને શિક્ષણ, જળવાયુ બદલાવથી તાલમેલ બેસાડવા, પ્રાકૃતિક સંસાધનોના પ્રબંધન અને ડિજિટલીકરણ સાથે બાગાયત અને પશુધન ક્ષેત્રોના વિકાસ પર હશે.

અસલમાં જળવાયુ પરિવર્તનના કૃષિ પર થઈ રહેલ પ્રભાવને પહોંચી વળવાની તૈયારી જરૂરી છે, સરકારી પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવાનું શરૂ કરી દીધું છે, પરંતુ પાક વિજ્ઞાન યોજનાથી જળવાયુ અનુકૂળ ખેતીને ઉત્તેજન મળશે. દેશમાં બેશક ઘઉં અને ચોખાના બફર સ્ટોક છે, પરંતુ કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનમાં પણ આત્મનિર્ભર બનવું જરૂરી છે.

કૃષિ ક્ષેત્રના નવા કાર્યક્રમમાં ડિજિટલ બુનિયાદી માળખું, એઆઇ, બિગ ડેટા, રિમોટ જેવી નવીનતમ ટેક્નોલોજીઓના ઉપયોગને ઉત્તેજન આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી પર પણ ફોકસ વધશે. જોકે ખેતી ક્ષેત્ર અને ખેડૂતોની હાલની સ્થિતિ સુખદ નથી. બીજ વાવણીથી લઈને પાક વિતરણ સુધી ડગલે ને પગલે પડકારો છે. વિભિન્ન રાજ્યોમાં પેદાશમાં અંતર છે. હરિત ક્રાંતિનો લાભ આખા દેશમાં સમાન રૂપે નથી મળ્યો.

ખેતી બુનિયા માળખાના યોગ્ય વિકાસનો અભાવ છે, વિભિન્ન કૃષિ ક્ષેત્રોમાં સિંચાઈ, સડક, વીજળી, સંગ્રહ, શીતગૃહ, વિતરણ કેન્દ્ર, મંડી જેવી સામાન્ય જરૂરિયાતોની પૂર્તિમાં ભારે અસમાનતા છે. વાવણી નાની થતી ગઈ છે, જમીનની ઉત્પાદકતા ઘટતી ગઈ છે અને ખેતીનો ખર્ચો વધતો ગયો છે, ખેતી ક્ષેત્રે અકુશળ માનવ સંસાધનની સમસ્યા છે. પાકની કિંમતોમાં ઘોર અનિયમિતતા છે.

ખેતરથી બજાર સુધીના પૂરવઠા પ્રણાલીમાં અનેક છીંડાં છે. ટેકાના ભાવની મર્યાદા છે, અનેક રાજ્યોમાં છે જ નહીં. ભારતનું ખેતી-ખાદ્ય ક્ષેત્ર એક એવા વળાંક પર છે, જ્યાંથી તેને આગળ લઈ જવું પડશે. અત્યાર સુધી જમીન સુધાર, બજાર સુધાર, ટેકનિકલ સુધાર, સંસ્થાગત સુધાર થયા છે, પરંતુ ખેતી ક્ષેત્રે નિરંતર સુધાર જરૂરી છે. નવા પાકોથી ભારતીય ખેતી વધુ ઉન્નત બની શકશે.