કેસમાં આગળ વધવા માટે પૂરતા પુરાવા છે, દારૂ કૌભાંડમાં કેજરીવાલ સામે ચાર્જશીટ પર રાઉઝ એવન્યુ કોર્ટ

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂ કૌભાંડના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આપ ધારાસભ્ય દુર્ગેશ પાઠક અને અન્યો સામે સીબીઆઇની પૂરક ચાર્જશીટની નોંધ લીધી છે. આ સંબંધમાં વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ કહ્યું કે કેજરીવાલ અને અન્ય આરોપીઓ સામે આગળ વધવા માટે પૂરતા પુરાવા છે, ત્યારબાદ તેણે આરોપીઓને ૧૧ સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી ૧૧ સપ્ટેમ્બર સુધી લંબાવી છે.

સીબીઆઇએ ૩૦ જુલાઈના રોજ તેની ચોથી પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કેજરીવાલ, પાઠક, અમિત અરોરા, વિનોદ ચૌહાણ, આશિષ માથુર અને પી. સરથ રેડ્ડીને આ કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આ ચોથી પૂરક ચાર્જશીટમાં સીબીઆઈએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમયસીમા સમાપ્ત થયેલી દિલ્હી લિકર પોલિસી ૨૦૨૧-૨૨ની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતાના કેસમાં આરોપી બનાવ્યા છે.

સીબીઆઇએ એવો પણ દાવો કર્યો હતો કે લાંચની રકમ કેજરીવાલની ઈચ્છા મુજબ ખર્ચવામાં આવી હતી કારણ કે આખી રકમ આમ આદમી પાર્ટીના ફંડમાં મોકલવામાં આવી હતી. એજન્સીએ એમ પણ કહ્યું કે કેજરીવાલે ગોવાના ૪૦ મતવિસ્તારોમાં દરેક ઉમેદવારને ૯૦ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. કોર્ટે આ કેસની આગામી સુનાવણી ૧૧ સપ્ટેમ્બરના રોજ નિયત કરી છે.

સીબીઆઇએ તેની ચાર્જશીટમાં આરોપ મૂક્યો છે કે કેજરીવાલ આ કેસના મુખ્ય કાવતરાખોરોમાંના એક હતા અને તે દક્ષિણી જૂથના સંપર્કમાં હતા, જેમાં કે. કવિતા, રાઘવ મગુંતા, અરુણ પિલ્લઈ, બૂચીબાબુ ગોરંતલા, પી. સરથ રેડ્ડી, અભિષેક બોઈનાપલ્લી અને બેનૉય બાબુ.

અગાઉ સીબીઆઇએ ગયા મહિને કોર્ટને કહ્યું હતું કે તેણે ભ્રષ્ટાચાર સંબંધિત આ કેસમાં કેજરીવાલ અને પાઠક સામે કાર્યવાહી કરવા માટે જરૂરી મંજૂરી મેળવી લીધી છે.