ભાજપના ભ્રષ્ટાચારી શાસનને કારણે ગુજરાતમાં ખાડા કે ખાડામાં ગુજરાત’ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અમિત ચાવડા

  • ૨૦૧૭ – ૨૦૨૧ ગુજરાતમાં ખાડાને કારણે અકસ્માતથી ૫૦૦ લોકોના મોત

વિધાનસભા ખાતે આયોજિત પ્રેસ વાર્તાને સંબોધન કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ગુજરાતની જનતા એક તરફ ભારે વરસાદ અને સરકાર સજત પૂરથી ત્રાહિમામ અને હેરાન પરેશાન છે. બીજી બાજુ કમરતોડ મોંઘવારી, કમરતોડ ટેક્ષ અને કમલમના કમિશનને કારણે ગુજરાતની જનતાની કમર ભાગતા રસ્તાના ખાડાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. પહેલા વરસાદ પડે તો વરસાદ બાદ રોડ પર દેડકા જોવા મળતા હતા હવે આ ભાજપના શાસનમાં પહેલા જ વરસાદ પછી રોડ પર દેડકાને બદલે ખાડા અને ભુવા જોવા મળે છે.

અમિત ચાવડાએ જણાવ્યું કે ગામથી લઈને ગાંધીનગર સુધી બધા જ રસ્તાઓમાં મોટા પ્રમાણમાં ખાડાને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. રસ્તા પરના ખાડા ગુજરાતની જનતાની કમર તો ભાંગે જ છે પણ સાથસાથે પ્રજાનું ખીસ્સુ પણ ભાંગે છે. આજ ગુજરાતમાં સરકાર દ્વારા જે ટોલટેક્ષ લેવામાં આવે છે એના આંકડા જોઈએ તો એક જ વર્ષમાં ૪૮૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ ટોલટેક્ષના નામે સરકાર ઉઘરાવે છે.

બીજી બાજુ ગુણવત્તાયુક્ત રસ્તા આપવાની વાત આવે સરકાર કુદરતનો વાંક કાઢે છે. દર વર્ષે રસ્તાઓ ધોવાઇ જાય અને ખાડાઓને કારણે જનતાની કમર તો તૂટે છે પણ સાથેસાથે મોટા પ્રમાણમાં સમય અને ઇંધણની પણ બરબાદી થાય છે. વાહનોને પણ મોટા પ્રમાણમાં નુક્સાન થાય છે, અને ખાડા પડવાને કારણે જે અકસ્માતો થાય છે એમાં પણ મોટા પ્રમાણમાં લોકોની જાનહાની થાય છે.

મળતા આંકડા મુજબ ૨૦૧૭ થી ૨૦૨૧ ના જ આંકડા લઈએ તો પાંચ વર્ષની અંદર ખાડામાં પડવાને કારણે થયેલ અકસ્માતમાં ૫૦૦ કરતા વધારે લોકોના મૃત્યુ નોંધાયા છે. એના માટે સરકારનો ભ્રષ્ટાચાર જવાબદાર છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશને જાતે જ સ્વીકાર્યું છે કે, આ સિઝનમાં એકલા અમદાવાદ શહેરમાં ૧૯ હજાર કરતા વધારે સ્થળોએ ખાડાનું રીપેરીંગ કરવામાં આવ્યું. એ જ રીતે સુરતના આંકડાઓ જોતા ૧૦ હજાર કરતા વધારે ખાડાઓની મરામત કરવામાં આવી.

દર વર્ષે પહેલો વરસાદ પડે, ખાડા પડે એટલે કરોડો રૂપિયા ધોવાઇ જાય છે. એની પાછળ મરામતના નામે પણ કરોડો રૂપિયાનો ખર્ચ થાય આ તમામ પૈસા ખર્ચાઈ ગયા છે, કોન્ટ્રાકટરો અને સરકારના ખિસ્સા ભરાઈ ગયા છે એ પ્રજાના ટેક્ષના પૈસાની બરબાદી થઇ ગઈ છે.

અમિત ચાવડા એ જણાવ્યું કે રાજ્યમાં માર્ગ મકાન વિભાગ અને શહેરી વિકાસ વિભાગ બંને માન. મુખ્યમંત્રીશ્રીને હસ્તક છે ત્યારે માંગણી કરીએ છીએ કે આખા ગુજરાતમાં ખાડારાજને કારણે પ્રજા ત્રાહિમામ છે, ચારે તરફ રસ્તાઓને નામે કરોડોનો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. ત્યારે જનતા સરકાર પાસે જાણવા પણ માંગે છે કે, આમાં સાચી હકીક્તે થઇ શું રહ્યું છે? આથી માંગણી કરીએ છીએ કે, સરકાર આખા ગુજરાતના રસ્તાઓને ખાડાઓને અનુસંધાને શ્ર્વેતપત્ર બહાર પાડે કે છેલ્લા એક વર્ષમાં રોડ બન્યો હોય એમાં ખાડા પડ્યા હોય તેવા રસ્તા કયા છે?

બે વર્ષમાં રોડ બન્યો હોય એમાં ખાડા પડ્યા હોય તેવા રસ્તા કયા છે? સાથેસાથે ગેરંટી પીરીયડમાં હોય અને રસ્તા ધોવાઇ ગયા હોય? ખાડા પડ્યા હોય તેવા રસ્તા કયા છે? એવા રસ્તાઓની મરામત પાછળ માર્ગ અને મકાન વિભાગ કે શહેરી વિકાસ વિભાગે કયા રસ્તા પાછળ કેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે? ગેરંટી પીરીયડમાં હોય તો કયા કોન્ટ્રાકટર પાસેથી આનો ખર્ચ વસુલવામાં આવ્યો છે?

સાથેસાથે એક જ કોન્ટ્રાકટરની વારંવાર ગુણવતા હલકી હોવાની ફરિયાદો હોય, એક કોન્ટ્રાકટર કે એજન્સીના રસ્તાઓ વારંવાર ધોવાઇ જતા હોય એવા કેટલા કોન્ટ્રાકટરોને બ્લેક્લીસ્ટ કરવામાં આવ્યા? એક રજૂઆત મુજબ સરકાર કોઈને બ્લેકલીસ્ટ કરે તો આખું તંત્ર મિલીભગત અને ભ્રષ્ટાચારમાં ગોઠવાયેલું છે કે એ જ એજન્સી બીજા નામે કોન્ટ્રાકટ લઈને કામો ચાલુ છે. ત્યારે સરકાર આ તમામનો સર્વે કરાવીને શ્ર્વેતપત્ર બહાર પાડે તો ગુજરાતની જનતાના ખ્યાલ આવે કે અમે જે ટેક્ષ આપીએ છીએ એનાથી જે રસ્તા બને છે એમાં કોના ખિસ્સા ભરાય છે.

કોને લાભ થાય છે અને પ્રજા આ હાડમારીમાંથી ક્યારે છૂટશે. આખા રાજ્યની જનતા ખાડારાજથી હેરાન પરેશાન છે. મુખ્યમંત્રી અને આખી સરકાર ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશમાંથી નવરી પડે તો ગુજરાતની જનતાની ચિંતા ચોક્કસ કરે અને ગુજરાતમાં જે ખાડારાજ છે, ખાડામાં પાડીને લોકોની કમર તૂટી રહી છે, વાહનો તૂટી રહ્યા છે, સમય અને ઇંધણની બરબાદી થઇ રહી છે એમાંથી ગુજરાતની જનતાને બચાવે.