
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ફરી એકવાર લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. ગુરુવારે ચિરાગ પાસવાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટાયા બાદ બિહારના પટના પહોંચ્યા હતા. જ્યાં પક્ષના નેતાઓ અને કાર્યકરોએ પટના એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
તે જ સમયે, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને એલજેપી (રામ વિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા પર પાર્ટીના તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે એમ પણ કહ્યું કે, હું ખાતરી આપું છું કે આગામી ૫ વર્ષમાં પાર્ટીને નવી ઉંચાઈઓ પર લઈ જવાની જવાબદારી પૂરી ઈમાનદારી અને મહેનતથી નિભાવીશ.
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ની જવાબદારી બીજી વખત મને સોંપવામાં આવી છે. આ માટે હું પાર્ટીના તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કરું છું. હું તમને ખાતરી આપું છું કે હું તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરીશ. તમામ અધિકારીઓ અને કાર્યકરોના વિશ્વાસનો દોર હું ક્યારેય તૂટવા નહીં દઉં.
ઝારખંડની રાજધાની રાંચીમાં ૨૫ ઓગસ્ટે યોજાયેલી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને સર્વસંમતિથી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ચિરાગ પાસવાને કહ્યું કે પાર્ટી ઝારખંડમાં રાષ્ટ્રીય ગઠબંધન ભાગીદાર ભાજપ સાથે અથવા પોતાના દમ પર ચૂંટણી લડી શકે છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ ચિરાગે કાર્યકરો માટે એક સંદેશ પણ જારી કર્યો હતો, જેમાં તેણે ૨૦૨૧માં પાર્ટીમાં વિભાજનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું, ’મને હજુ પણ ૨૦૨૧નો તે દિવસ યાદ છે, જ્યારે હું સંઘર્ષના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો હતો. મારી પાર્ટીનું વિઘટન થયું, મને તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યો. મારી રાજકીય ઇનિંગ્સને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ, એ તમારો પ્રેમ, ટેકો અને વિશ્વાસ હતો કે મને ન તો તૂટવા દીધી કે ન નમવા દીધી.
બિહારની પ્રાદેશિક લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) એ તાજેતરની લોક્સભા ચૂંટણીમાં ૧૦૦% સ્ટ્રાઇક રેટ સાથે તમામ પાંચ બેઠકો જીતી હતી. ચિરાગ પોતે તેના પિતાની પરંપરાગત હાજીપુર બેઠક પરથી સંસદમાં પહોંચ્યો હતો. તે જ સમયે તેમની પાર્ટીએ વૈશાલી, સમસ્તીપુર, ખગરિયા અને જમુઈ લોક્સભા સીટ પણ જીતી હતી.