સીએમ સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાના રાજ્યપાલના આદેશથી રાજકારણ ગરમાયું, ભાજપ-કોંગ્રેસનો વિરોધ

કથિત મુડા કૌભાંડ કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. સાથે જ કોંગ્રેસના કાર્યર્ક્તાઓએ રાજ્યપાલના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. બીજી તરફ વિપક્ષ ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રાજ્યપાલના આદેશને કર્ણાટક હાઈકોર્ટમાં પડકાર્યો છે.

રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા આર. અશોકે કહ્યું કે, આજે અમે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના રાજીનામાની માંગ કરી રહ્યા છીએ. તેઓએ ગરીબ લોકોને લૂંટ્યા છે. એટલા માટે અમે તેમનો અને સમગ્ર કોંગ્રેસ સરકારનો વિરોધ કરી રહ્યા છીએ. આ સરકાર કોંગ્રેસના હાઈકમાન્ડ માટે એટીએમ બની ગઈ છે. ભાજપના નેતા સી.ટી. રવિએ કહ્યું કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર ભ્રષ્ટાચારના આરોપો છે. બધા જાણે છે કે મુડા કૌભાંડ થયું છે.

રાજ્યપાલે ભારતીય બંધારણ મુજબ આદેશ આપ્યો છે. અમે કોંગ્રેસને એ યાદ અપાવવા આવ્યા છીએ કે તેઓ વિપક્ષમાં હતા ત્યારે તેમણે શું કર્યું હતું. રાજ્યપાલનું પદ બંધારણીય પદ છે. તેથી તેમના આદેશનો વિરોધ કરવો ખોટું છે. કર્ણાટક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ રાજ્યપાલના આદેશ સામે શિવમોગામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનું કાર્ય મૈસૂરમાં શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા, માળખાકીય સુવિધાઓ વિક્સાવવા અને લોકોને પોસાય તેવા ભાવે આવાસ પૂરા પાડવાનું છે. ૨૦૦૯માં મુડાએ શહેરી વિકાસને કારણે જમીન ગુમાવનારા લોકો માટે ૫૦:૫૦ની સ્કીમ રજૂ કરી હતી. આ યોજના હેઠળ જે લોકોની જમીન સંપાદિત કરવામાં આવશે તેમને મુડા દ્વારા વિકસિત જમીનના ૫૦ ટકા પ્લોટ ફાળવવામાં આવશે. જો કે વર્ષ ૨૦૨૦માં તત્કાલીન ભાજપ સરકારે આ યોજના બંધ કરી દીધી હતી. જો કે, યોજના બંધ થયા પછી પણ, મુડાએ ૫૦:૫૦ યોજના ચાલુ રાખી અને તે હેઠળ જમીનો સંપાદન અને ફાળવવાનું ચાલુ રાખ્યું.

એવો આરોપ છે કે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાની પત્ની પાસે મૈસૂરના કેસરે ગામમાં ૩ એકર અને ૧૬ ગુંટા જમીન હતી, જે તેમના ભાઈ મલ્લિકાર્જુને પાર્વતીને ભેટમાં આપી હતી. પાર્વતીની જમીન મુડા દ્વારા વર્ષ ૨૦૨૧માં હસ્તગત કરવામાં આવી હતી. બદલામાં, પાર્વતીને મોંઘા વિસ્તારમાં ૧૪ જગ્યાઓ ફાળવવામાં આવી હતી. એવો આરોપ છે કે મુડાએ આ જમીન સંપાદિત કર્યા વિના દેવાનુર ત્રીજા તબક્કાની યોજના તૈયાર કરી હતી. વળતર માટે મુખ્ય પ્રધાનના પત્ની પાર્વતીની અરજીના આધારે, મુડાએ વિજયનગર ૩ અને ૨ તબક્કામાં ૧૪ સાઇટ્સ ફાળવી. રાજ્ય સરકારની ૫૦:૫૦ રેશિયો યોજના હેઠળ કુલ ૩૮,૨૮૪ ચોરસ ફૂટની ફાળવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના પત્નીના નામે જે ૧૪ જગ્યાઓ ફાળવવામાં આવી હતી તેમાં કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે પાર્વતીને મુડા દ્વારા આ જગ્યાઓની ફાળવણીમાં ગેરરીતિઓ થઈ છે.

વિપક્ષનો આરોપ છે કે વિજયનગરમાં ફાળવવામાં આવેલી જગ્યાઓની બજાર કિંમત કેસરેમાં આવેલી મૂળ જમીન કરતાં ઘણી વધારે છે. વિપક્ષે હવે વળતરની નિષ્પક્ષતા અને માન્યતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. જો કે, એ પણ રસપ્રદ છે કે ૨૦૨૧માં ભાજપના શાસન દરમિયાન વિજયનગરમાં મુખ્યમંત્રીની પત્ની પાર્વતીને નવી જગ્યા ફાળવવામાં આવી હતી.

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ફાળવણીનો બચાવ કરતા કહ્યું કે તે ૨૦૨૧ માં ભાજપ સરકાર હેઠળ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે વિજયનગરમાં સાઇટ્સ આપવામાં આવી હતી કારણ કે કેસરેમાં દેવનુર ફેઝ ૩ વિસ્તારમાં સાઇટ્સ ઉપલબ્ધ નહોતી. સિદ્ધારમૈયાના કાયદાકીય સલાહકાર એએસ પોન્નાએ દાવો કર્યો હતો કે વિજયનગરમાં વળતર આપવામાં આવેલી જમીનની કિંમત કેસરાની મૂળ જમીન કરતાં ઘણી ઓછી છે. તેમણે કહ્યું કે જમીન સંપાદન કાયદા મુજબ, પાર્વતી સરકાર પાસેથી રૂ. ૫૭ કરોડ વધુ મેળવવા માટે હકદાર છે કારણ કે તેમને વળતર તરીકે મળેલી જમીનની કિંમત માત્ર રૂ. ૧૫-૧૬ કરોડ છે, જે કેસરેમાં તેમની મૂળ જમીન કરતાં ઘણી ઓછી છે.

પોન્નાએ વધુમાં જણાવ્યું હતું કે વળતરવાળી જગ્યાનો વિસ્તાર ૩૮,૨૮૪ ચોરસ ફૂટ છે જ્યારે મૂળ જમીન ૧,૪૮,૧૦૪ ચોરસ ફૂટ હતી. તેમણે દાવો કર્યો હતો કે પાર્વતીએ વિલંબ ટાળવા માટે વિજયનગરની જગ્યા પસંદ કરી હતી, તેમ છતાં તેનું બજાર મૂલ્ય ઓછું હતું. સીએમ સિદ્ધારમૈયાએ વિપક્ષના આરોપો પર કહ્યું, ’જો તેઓને લાગે છે કે તે કાયદાની વિરુદ્ધ છે, તો તેઓએ જણાવવું જોઈએ કે તે કેટલું યોગ્ય છે. જો જમીનની કિંમત રૂ. ૬૨ કરોડ છે, તો તેઓએ પ્લોટ પાછો લઈ લેવો જોઈએ અને તે મુજબ અમને વળતર આપવું જોઈએ.