દે.બારીયા ખાતે પંચાયત અને કૃષિ મંત્રીની ઉપસ્થિતિમાં જીલ્લાકક્ષાના 15 મી ઓગસ્ટ કાર્યક્રમની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ

  • છેલ્લાં 10 વર્ષોમાં સરકારએ 4 કરોડ 21 લાખ જેટલાં આવાસોનું નિર્માણ કરીને ગરીબોને આપ્યા છે. આમ, વ્યક્તિગત અને સામુહિક યોજનાઓના લાભ લાભાર્થીઓને હાથોહાથ પહોંચતા કર્યા છે.
  • આપણા દેશની માટીના કણ-કણમાં શૂરવીરતા અને સાહસોની ગાથા વણાયેલી છે. દેશવાસીઓ માટે પોતાનું હસતા – હસતા બલિદાન આપી શહીદી વહોરનાર વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો આ દિવસ છે.
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મેરી મિટ્ટી – મેરા દેશ, હર ઘર તિરંગા તેમજ વન મહોત્સવ જેવા રાષ્ટ્રીય અભિયાન થકી દેશને જોડવાનું એક કરવાનું કાર્ય કર્યું છે.- મંત્રી બચુભાઈ ખાબડ
  • શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિ તેમજ આદિવાસી ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરતાં સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું.
  • પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે જીલ્લા કલેકટર યોગેશ નિરગુડેને વિકાસ કાર્યો માટે ચેક એનાયત.

1947 ની 15 મી ઓગસ્ટનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. એ દિવસે એક મોટા લોકશાહી દેશ તરીકે આપણો દેશ સ્વતંત્ર થયો હતો. ભારતના ઇતિહાસમાં આપણને આ દિવસની સફળતા ઘણાં સંઘર્ષ અને બલિદાનો પછી મળી હતી. જેમાં કેટલાય વીરોએ – ક્રાંતિકારીઓએ પોતાના જીવનની આહુતિ આપી હતી. જેથી કરીને ત્યારથી આપણા સૌ માટે તેમજ દેશ માટે આ દિવસ ખુબ જ મહત્વનો છે.

દાહોદ : 1947 ની 15 મી ઓગસ્ટનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. એ દિવસે એક મોટા લોકશાહી દેશ તરીકે આપણો દેશ સ્વતંત્ર થયો હતો. ભારતના ઇતિહાસમાં આપણને આ દિવસની સફળતા ઘણાં સંઘર્ષ અને બલિદાનો પછી મળી હતી. જેમાં કેટલાય વીરોએ – ક્રાંતિકારીઓએ પોતાના જીવનની આહુતિ આપી હતી. જેથી કરીને ત્યારથી આપણા સૌ માટે તેમજ દેશ માટે આ દિવસ ખુબ જ મહત્વનો છે.

દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા ખાતે સ્વ. જયદીપસિંહજી રમત – ગમત સંકુલ ખાતે જીલ્લા કક્ષાના 15 મી ઓગસ્ટ દિવસની ઉજવણી પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં તેમજ કલેકટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

મંત્રીએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. રાષ્ટ્ર ધ્વજને સલામી આપ્યા બાદ મંત્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કરી અભિવાદન ઝીલ્યું હતું.

મંત્રીએ પ્રાસંગિક ઉદબોધન આપતાં કહ્યું હતું કે, આપણા દેશની માટીના કણ – કણમાં શૂરવીરતા તેમજ સાહસની ગાથા વણાયેલી છે. આપણા દેશે કેટલાય વર્ષો સુધી ગુલામી સહન કરી છે, એ ગુલામીમાંથી દેશને મુક્ત કરવા માટે આપણાં વીર શહીદોએ પોતાના જીવનનું હસતા – હસતા બલિદાન આપ્યું છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આજના સમયની વાત કરીએ તો આપણી સરકાર આપણા દેશને વિકાસના પંથે લઇ જવા માટે સતત પ્રયત્નશીલ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મેરી મિટ્ટી – મેરા દેશ, હર ઘર તિરંગા તેમજ વન મહોત્સવ જેવા રાષ્ટ્રીય અભિયાન થકી દેશને જોડવાનું એક કરવાનું કાર્ય કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં આપણો દેશ હવે વિવિધ ઊંચાઈઓને આંબી રહ્યો છે ત્યારે સામાન્ય માણસ પણ કોઈપણ યોજનાથી વંચિત રહી ન જાય તેને માટે સરકાર અવિરત કાર્યો કરી રહી છે.

તેમણે સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓની વિગતવાર જાણકારી આપી હતી. સરકાર દ્વારા કરવામાં આવતી આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, ખેડૂતો, મહિલાઓ, ગરીબો, યુવાનો, વૃદ્ધો તેમજ આદિવાસી ભાઈ – બહેનો અને વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી સહાય અને લાભ અંગેની યોજનાઓ વિશે છણાવટ કરી હતી.

મંત્રી ખાબડે ઉમેર્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં ગરીબ, યુવાઓ, ખેડૂતો, બહેનો તેમજ બાળકોના વિકાસ માટે અથાગ પ્રયત્નો સરકારે કર્યા છે. છેલ્લા 10 વર્ષોમાં સરકારએ 4 કરોડ 21 લાખ જેટલાં આવાસોનું નિર્માણ કરીને ગરીબોને આપ્યા છે. વ્યક્તિગત અને સામુહિક યોજનાઓના લાભ લાભાર્થીઓને હાથોહાથ પહોંચતા કર્યા છે.

સ્વાતંત્ર્ય દિન નિમિતે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિ ગીતો પર નૃત્ય, વૃક્ષો વાવો – પર્યાવરણ બચાવોના સૂત્રો સાથે આદિવાસી નૃત્ય તેમજ શહીદોના જીવનનની ઝાંખી કરાવતા કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જેમાં નાનકડાં ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલા દેશ ભક્તિ ગીત પરના નૃત્ય ઉપસ્થિત સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો દરમ્યાન સમગ્ર સંકુલનું વાતાવરણ દેશ ભક્તિમય બની ગુંજી ઉઠ્યું હતું.

કાર્યક્રમના અંતે મંત્રી તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વિવિધ વિભાગના અધિકારીઓ સહિત વ્યક્તિ વિશેષ તેમજ ધોરણ 10 અને ધોરણ 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન પત્ર આપી તેમજ ઇનામ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે જીલ્લા કલેકટર યોગેશ નિરગુડેને વિકાસ કાર્યો માટે ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે રમત – ગમત સંકુલના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોર,જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર,ગરબાડા ધારાસભ્ય મહેશભાઈ ભાભોર, જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ, પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ, જીલ્લા પુરવઠા અધિકારી મિતેશ વસાવા સહિતના અધિકારીઓ તથા પદાધિકારી ઓ, વિદ્યાર્થીઓ ઉપરાંત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.