
શિવામોગા,
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ જણાવ્યું હતું કે રાજ્યમાં સમાનતા સુનિશ્ર્ચિત કરવા માટે તેમની સરકાર યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અમલી બનાવવા અંગે ગંભીરતાથી વિચારી રહી છે. ભારતીય બંધારણ દિવસ નિમિત્તે પ્રસંગે રાજ્યની રાજધાનીમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે યુસીસીનો અમલ એ રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પક્ષની પ્રતિબદ્ધતા છે અને તેમની સરકાર તેને લાગુ કરવા પર ખૂબ ગંભીરતાથી વિચાર કરી રહી છે.
બોમ્મઇના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર યુસીસીને લાગુ કરવા માટે વિવિધ રાજ્યોમાં રચાયેલી વિવિધ સમિતિઓની કામગીરીનું મૂલ્યાંકન કરી રહી છે, જેથી તેના અમલ અંગે નિર્ણય લેતા પહેલા તમામ પાસાઓનો અભ્યાસ કરી શકાય. શિવમોગામાં અન્ય એક કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે બંધારણની પ્રસ્તાવનામાં સમાનતા અને બંધુત્વની તરફેણ કરાઈ છે. યુસીસીનો અમલ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં તેમણે કહ્યું હતું કે દીનદયાળ ઉપાયાયના સમયથી અમે સમાન નાગરિક સંહિતાની વાત કરી રહ્યા છીએ. દેશમાં અને રાજ્ય સ્તરે આ મામલે ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે, અને યોગ્ય સમયે તેનો અમલ કરવાનો ઇરાદો પણ છે. યુસીસીનો અમલ કરવા માટે આવશ્યક તમામ પગલાં લઈશું. નવા ધર્માંતરણ વિરોધી કાયદા અંગે બોમ્મઈએ કહ્યું હતું કે ઘણા લોકોએ તેને બંધારણ વિરોધી ગણાવ્યો હતો, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં બળજબરીથી ધર્માંતરણને ગુનો ગણાવ્યો છે. રાજ્યમાં મંદિરોના સંચાલન અંગે તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી દ્રઢપણે માને છે કે શ્રદ્ધાળુઓએ જ મંદિરોનું સંચાલન કરવું જોઈએ.
,