
મહાબળેશ્વરમાં ૬૨૦ એકર જમીનના વેચાણના કેસમાં ગુજરાતના જીએસટી કમિશનર ચન્દ્રાન્ત વળવી સામે હવે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યકક્ષાએથી કાર્યવાહી કરી પગલાં લેવાય તેવી સંભાવના છે. વળવીની અન્ય જિલ્લામાં પણ જમીન હોવાથી એક જિલ્લાના કલેક્ટર તેમની સામે પગલાં લેવા માટે સક્ષમ ન હોવાથી હવે આ કેસ રાજ્ય સરકારને સુપ્રત કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવશે.
ઝાઠાણી ગામના જમીન ગોટાળા પ્રકરણની અંતિમ સુનાવણી સોમવારે પૂરી થઇ હતી જેના જીએસટી કમિશનર વળવીએ અનિલ વસાવેની અન્ય જિલ્લાઓમાં જમીન હોવાથી મહારાષ્ટ્ર કમટલ જમીન ધારણા કાયદા (લેન્ડ સિલીંગ એક્ટ-૧૯૬૧)ની કલમ ૧૪ અનુસાર આ બાબતે નિર્ણય લેવાનો અધિકાર જિલ્લા સ્તરે ન હોવાથી આ બન્ને બાબતનો એક પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. જીએસટી કમિશનર સહિત બન્ને જણે કાયદાનું વ્યાપક ઉલ્લંઘન કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. મહાબળેશ્વર તાલુકાના ઝાઠાણી ખાતેની ૬૨૦ એકર જમીન અમદાવાદના જીએસટી કમિશનર ચંદ્રકાત વળવી અને તેમના સંબંધીઓએ હડપી લીધી હોવાના અહેવાલ સામે આવતા મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો.
આ બાબતની તપાસમાં એવી ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે આ બન્નેના નામે સાતારા અને નંદુરબારમાં જમીનો હોવાનું બહાર આવ્યું હતું. આ જમીન ગોટાળાની ગંભીરતા અને વ્યાપક્તાને ધ્યાનમાં રાકી સાતારાના જિલ્લા કલેકટરે જીએસટી કમિશનર વળવી, અનિલ વસાવે, પિયુષ બોગીરવાર સહિત તેમના અન્ય સગા-સંબંધીઓ સામે નોટિસ બહાર પાડી આ બાબતના કાગળીયા-દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ પ્રકરણે ત્રણથી ચાર સુનાવણીઓ બાદ સોમવારે અંતિમ સુનાવણી થઇ હતી. આ સુનાવણી દરમિયાન જીએસટી કમિશનર વળવી અને અનિલ વસાવેના નામે સાતારા સહિત નંદુરબારમાં જમીન હોવાનું સ્પષ્ટ થયું હતું.