દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના તારમી ગામે 06 વર્ષ પહેલા એક વિધવા મહિલાએ પોતાના પ્રેમી સાથે મળી પોતાના દિયરને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યાના બનાવમાં આ કેસ લીમખેડાની એડિશ્ર્નલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે મહિલા સહિત તેના પ્રેમીને આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.
લીમખેડાની એડિશનલ સેશન્સ જજની કોર્ટ દ્વારા પુન: એકવાર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં ગત તા.02.02.2019ના રોજ સીંગવડના તારમી ગામે વડલી ફળિયામાં રહેતાં સડીયાભાઈ મનસુખભાઈ બારીયા દ્વારા રણધીકપુર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, સડીયાભાઈના મોટા દિકરા ધર્મેશભાઈનું મોત નીપજતાં ધર્મેશભાઈની વિધવા પત્નિ રાધાબેન ગામના દિનેશભાઈ વેંજાભાઈ બારીયા સાથે આડા સંબંધ રાખતી હતી. આ અંગેની જાણ સડીયાભાઈના નાના દિકરા નરેશભાઈને થઈ હતી અને તેમની ભાઈ રાધાબેન દિનેશભાઈ સાથે મોબાઈલમાં વાતો કરતી હોવાથી નરેશભાઈએ પોતાની ભાઈ રાધાબેન પાસેથી તેનો મોબાઈલ ફોન લઈ લીધો હતો.
આ બાબતની અદાવત રાખી નરેશભાઈની ભાભી રાધાબેન તથા તેના પ્રેમી દિનેશભાઈએ બંન્નેએ ભેગા મળી ગત તા.01.02.2019ના રોજ નરેશભાઈને ચપ્પુના ઘા મારી ગુપ્ત ભાગ કાપી નાંખી નરેશભાઈનું મોત નીપજ્યું હતું. આ અંગેની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો અને આ કેસ ગત તા.30.07.2024ના રોજ લીમખેડાની એડિશ્ર્નલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી રાધાબેન ધર્મેશભાઈ બારીયા તથા તેના પ્રેમી દિનેશભાઈ વેજાભાઈ બારીઆને દોષી ઠેરવી કોર્ટ દ્વારા આ બંન્નેને આજીવન કેદની સજા સંભાળી હતી સાથે સાથે રૂા. 7,000ના દંડનો હુકમ પણ કરવામાં આવ્યો હતો.