મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી ૧૪૭મી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો

  • સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો હતો

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સવારે ૪ વાગ્યે ભગવાનની મંગળા આરતી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું રથયાત્રા પહેલા ભૂપેન્દ્ર પટેલે સોનાના સાવરણીથી પહિંદ વિધિ કરી છે. પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યો હતો ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી નવાવર્ષની સૌ કચ્છી માડુંઓને શુભેચ્છાઓ પાઠવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સતત ત્રીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિ કરી છે. મુખ્યમંત્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્ર્વકર્મા પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનના દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રી કહ્યું કે, ગુજરાત તથા સમગ્ર દેશમાં કાયમ સદભાવના, એક્તા, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે તેવી પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના છે. રથયાત્રાના અવસરે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા નીકળે છે. જેનાથી સહુને સુખ અને શાંતિનો અહેસાસ થાય છે. તેમણે રથયાત્રાને સાચા અર્થમાં લોકઉત્સવ ગણાવી હતી. પુન: શુભકામનાઓ પાઠવી હતી.

દરમિયાન અમદાવાદના જમાલપુુરમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં સવારે ૪ કલાકે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પરિવાર સાથે પહોંચી ગયા હતા અને તેમણે મંગળા આરતીમાં ભાગ લીધો હતો અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી.