
લોક્સભા અધ્યક્ષ પદ માટે સત્તાધારી પક્ષ એનડીએ અને વિપક્ષ વચ્ચે ભારે રસાક્સી થઈ હતી. જ્યારે હવે વિપક્ષે ડેપ્યુટી સ્પીકર પદ માટે પોતાનો દાવો કરવાનું શરૂ કરી દીધું છે. આ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને મમતા બેનરજી વચ્ચે ફોન પર વાતચીત પણ થઈ હતી.
સૂત્રોનું માનીએ તો મમતા બેનરજીએ સાંસદ અવધેશ પ્રસાદને ડેપ્યુટી સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અવધેશ પ્રસાદ એ જ સાંસદ છે જેઓ અયોયાથી લોક્સભા ચૂંટણી જીત્યા હતા અને તેઓ દલિત સમુદાયમાંથી આવે છે.
વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવાની પરંપરા રહી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે અવધેશ પ્રસાદ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. અવધેશ પ્રસાદ સપાની ટિકિટ પર અયોધ્યાથી સાંસદ બન્યા હતા. મમતા બેનરજીએ બિનકોંગ્રેસી વિપક્ષના ઉમેદવારનું નામ આગળ કર્યું છે. સામાન્ય રીતે શાસક પક્ષ લોક્સભા અધ્યક્ષનું પદ ધરાવે છે, જ્યારે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં આવે છે. જોકે, ૧૯૯૦થી ૨૦૧૪ સુધી ડેપ્યુટી સ્પીકરનું પદ પણ સત્તાધારી પક્ષ પાસે હતું. જ્યારે ડેપ્યુટી સ્પીકરનું પદ ૨૦૧૯ થી ૨૦૨૪ સુધી ખાલી હતું.
ડેપ્યુટી સ્પીકર પાસે સ્પીકરની સમાન કાયદાકીય સત્તાઓ હોય છે. આ સિવાય ડેપ્યુટી ચેરમેન મૃત્યુ, માંદગી કે અન્ય કોઈ કારણસર અધ્યક્ષની ગેરહાજરીમાં વહીવટી સત્તાઓ પણ સંભાળે છે. એક જવાબદાર લોકશાહી સંસદ ચલાવવા માટે, એવી સંસદીય પરંપરા રહી છે કે લોક્સભાના ઉપાધ્યક્ષને સત્તાધારી પક્ષ સિવાયના પક્ષમાંથી પસંદ કરવામાં આવે. જો કે, હજુ સુધી સરકાર તરફથી એવો કોઈ સંકેત મળ્યો નથી કે આ પદ ૧૮મી લોક્સભામાં પણ ભરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ૧૭મી લોક્સભામાં કોઈ ડેપ્યુટી સ્પીકર નહોતા, આઝાદી પછી પહેલીવાર આવું બન્યું હતું.