૧૦ દિવસ સુધી ગરમીથી રાહત નહીં: મોટાભાગના રાજ્યોમાં પારો ૪૫ને પાર

  • જૂનના અંતમાં દિલ્હી-યુપીમાં ચોમાસું આવે છે

દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર અને પૂર્વ ભારતમાં આકરી ગરમીએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ૧૫-૨૦ દિવસથી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા સહિત મોટાભાગના રાજ્યોમાં દિવસનું તાપમાન ૪૪-૪૭ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું છે. દિલ્હીમાં સ્થિતિ એવી છે કે મંગળવારે સવારે ૮:૩૦ વાગ્યે પારો ૩૪.૮ ડિગ્રીએ પહોંચી ગયો હતો. અહીં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી નોંધાયું હતું.

દિલ્હી-એનસીઆરમાં ભારે ગરમીના કારણે રેડ એલર્ટ જારી છે. ઓછામાં ઓછા ૧૦ દિવસ સુધી ગરમીના મોજાથી કોઈ મોટી રાહતની અપેક્ષા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૨૭-૨૮ જૂનની આસપાસ ચોમાસાના આગમન બાદ જ રાહત મળી શકે છે. જો કે, આ સમયગાળા દરમિયાન એકાદ-બે દિવસ વરસાદ પડી શકે છે, પરંતુ આનાથી જ બળતી ગરમીમાંથી તાત્કાલિક રાહત મળશે. હવામાન વિભાગે કહ્યું કે યુપી, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમીની સ્થિતિ યથાવત રહેશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશ, વિદર્ભ અને બંગાળના ભાગોમાં પણ આવી જ સ્થિતિ રહેશે. પંજાબ, હરિયાણા, બિહાર અને ઝારખંડમાં રેડ હીટ એલર્ટ ચાલુ છે.

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણથી પાંચ દિવસમાં પૂર્વોત્તર રાજ્યો, ખાસ કરીને મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ રાજ્યોમાં ૨૦ સેમીથી વધુ વરસાદ પડી શકે છે. આસામમાં છેલ્લા ઘણા દિવસોથી થઈ રહેલા વરસાદને કારણે બ્રહ્મપુત્રા અને બરાક અને વિવિધ ઉપનદીઓનું જળસ્તર વધી રહ્યું છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે રાજ્યમાં પૂરથી ૩૦૯ ગામોના ૧.૦૫ લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યના ૧૪ જિલ્લા પૂરની ઝપેટમાં છે. આગામી દિવસોમાં ભારે વરસાદના કારણે સ્થિતિ વધુ વણસે તેવી શક્યતાઓ વધી છે.

આકરી ગરમી વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં પીક પાવર વપરાશ ૮,૬૪૭ મેગાવોટ પર પહોંચી ગયો, જે શહેરમાં અત્યાર સુધીનો સૌથી વધુ છે. આકરી ગરમીએ દિલ્હીમાં હાહાકાર મચાવ્યો છે. આ ઉનાળામાં ૨૪ કલાકમાં ૩૩ લોકોના મોત થયા છે. આ આંકડો હજુ વધી શકે છે. પોલીસ પાસે હજુ પાંચ જિલ્લાનો ડેટા નથી. મોટાભાગના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસનું કહેવું છે કે આ લોકો ફૂટપાથ પર અને નાઈટ શેલ્ટરમાં રહેતા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે તેમના મોતનું કારણ ગરમી છે. જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે તેવું પણ કહેવાય છે. બીજી તરફ, મૂર્છા, ઉલ્ટી અને ચક્કરથી પીડાતા ૧૦૦ થી વધુ દર્દીઓ દરરોજ દિલ્હીની ૩૮ હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે.ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ઓછામાં ઓછા ૧૦ સ્થળોએ મંગળવારે ૪૫ ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાયું હતું. સમગ્ર દેશમાં, ઉત્તર પ્રદેશના ઓરાઈમાં ૪૬.૪ ડિગ્રી સેલ્સિયસ સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી હતું.

આઇએમડીના વૈજ્ઞાનિક સોમા સેને કહ્યું કે ઉત્તર ભારતમાં ભારે ગરમીનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો કે, ૧૯ થી ૨૧ જૂન દરમિયાન પશ્ર્ચિમી વિક્ષેપની અસરને કારણે, દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પશ્ર્ચિમ યુપીમાં હવામાનમાં થોડો ફેરફાર થશે. પંજાબમાં ભારે વાવાઝોડા સાથે ભારે વરસાદ થઈ શકે છે જ્યારે બાકીના રાજ્યોમાં હળવો વરસાદ થઈ શકે છે. જો કે, આ કાળઝાળ ગરમીથી કામચલાઉ રાહત રહેશે. આ પછી, ગરમીનું મોજું અને આકરી ગરમી ફરી શરૂ થશે. ૨૭ જૂનની આસપાસ દિલ્હીમાં ચોમાસા સંબંધિત પ્રવૃત્તિ શરૂ થશે. યુપીમાં પણ મહિનાના ચોથા સપ્તાહ સુધીમાં ચોમાસું આવી શકે છે. આ પછી જ કાળઝાળ ગરમીમાંથી રાહતની આશા રાખી શકાય.

હવે તો કાળઝાળ ગરમીના કારણે પહાડો પણ ઉકળવા લાગ્યા છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં મહત્તમ તાપમાન ૪૯.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. ૧૨મી જૂને તાપમાનનો પારો ૪૮.૧ ડિગ્રી હતો. ઉત્તરાખંડના દેહરાદૂનમાં સોમવારે તાપમાનનો પારો વધીને ૪૩.૧ ડિગ્રીએ પહોંચ્યો હતો, જે ૧૨૨ વર્ષનો રેકોર્ડ છે. મંગળવારે તે ૪૧ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યું હતું. હિમાચલના નવ જિલ્લા ગરમીની લપેટમાં છે. અહીં સાત જિલ્લામાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ઉનામાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી રહ્યું હતું.બુધવારે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે.