યુક્રેનમાં શાંતિ માટેની ’શરતો’ પર ભારત સહમત નહીં, સંમેલનમાં સામેલ ૧૨ દેશોએ હસ્તાક્ષર ન કર્યા

વિશ્ર્વના ૮૦ દેશોએ યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા જાળવવાની શરતને યુદ્ધ ખતમ કરવા માટે મુખ્ય આધાર બનાવીને નિવેદન પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ ભારત સહિત ૧૨ દેશોએ આ શરતને કારણે સંઘર્ષ થવાની આશંકા વ્યક્ત કરી નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો.

ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે યુક્રેનમાં વાતચીત દ્વારા શાંતિ સ્થાપવાના પક્ષમાં છે. સ્વિટ્ઝર્લેન્ડના બર્ગેનસ્ટોક રિસોર્ટ ખાતે યુક્રેન પર આયોજીત શાંતિ સંમેલનનો અંતિમ દિવસ હતો. સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને યુએઈએ હસ્તાક્ષર કર્યા નથી

યુક્રેન પર આક્રમણ કરનાર રશિયાની ગેરહાજરીમાં ૨૮ મહિનાના યુદ્ધને સમાપ્ત કરવા માટે શાંતિપૂર્ણ માર્ગ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમેરિકા સહિત મોટાભાગના પશ્ર્ચિમી દેશો અને મહત્વના વિકાસશીલ દેશોએ તેમાં ભાગ લીધો હતો. બે દિવસની ચર્ચા બાદ તૈયાર કરવામાં આવેલા અંતિમ દસ્તાવેજમાં પ્રાદેશિક અખંડિતતાની સ્થિતિ સાથે પરમાણુ સુરક્ષા, ખાદ્ય સુરક્ષા અને કેદીઓની અદલાબદલી સાથે સંબંધિત મુદ્દાઓ પણ છે.

આ અંતિમ દસ્તાવેજના કેટલાક મુદ્દાઓને અસ્પષ્ટ માનતા ભારત, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા,યુએઈ સહિત ૧૨ દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા નથી. પરિષદમાં નિરીક્ષક તરીકે ભાગ લઈ રહેલા બ્રાઝિલે પણ અંતિમ દસ્તાવેજ (સંયુક્ત નિવેદન) પર હસ્તાક્ષર કર્યા નથી, પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે અનેક પ્રસંગોએ મયસ્થી તરીકેની ભૂમિકા ભજવનાર તુર્કીયે તેના પર હસ્તાક્ષર કર્યા છે. કોન્ફરન્સમાં ભારત તરફથી સત્તાવાર સ્તરે પ્રતિનિધિત્વ હતું. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુએન ચાર્ટર અનુસાર યુક્રેનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ. જ્યારે પણ ત્યાં યુદ્ધ સમાપ્ત કરવા માટે શાંતિ સમજૂતી થાય ત્યારે આ શરત મુખ્ય આધાર રહેવી જોઈએ.

કોન્ફરન્સનું આયોજન કરી રહેલા સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ વિયોલા એમહર્ડે જણાવ્યું હતું કે સંયુક્ત નિવેદન પર ભારે બહુમતી સમજૂતી દર્શાવે છે કે લક્ષ્ય હાંસલ કરવા માટે અમે રાજદ્વારી માર્ગ પર મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુક્રેનમાં શાંતિ માટે લેવામાં આવેલા પ્રથમ પગલાઓની સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. કહ્યું કે આ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરની જીત છે.