
- દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયા,કે.કવિતા અને અન્ય લોકો જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની નિયમિત જામીન અરજી પરનો નિર્ણય હવે ૧૯ જૂન સુધી ટાળી દેવામાં આવ્યો છે. આ અરજીની સુનાવણી આજે શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં થઈ હતી. સુનાવણી દરમિયાન કેજરીવાલ દ્વારા રાહત સંબંધિત કેટલીક માંગણીઓ કરવામાં આવી હતી, જેના પર તપાસ એજન્સીએ જવાબ આપવા માટે વધુ સમય માંગ્યો હતો. આના પર કોર્ટે સુનાવણી ૧૯ જૂન પર મુલતવી રાખી છે.સુનાવણી દરમિયાન એન હરિહરન સીએમ કેજરીવાલ વતી કોર્ટમાં હાજર થયા હતા. તેણે કોર્ટને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલે થોડી રાહતની માંગ કરતી અરજી દાખલ કરી છે. જેમાં મુખ્ય બે માંગણીઓ છે. સૌપ્રથમ, અમે જેલ સત્તાવાળાઓને વિનંતી કરી રહ્યા છીએ કે સુનીતા કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેજરીવાલની મેડિકલ તપાસમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવે. બીજું, જ્યારે બોર્ડ બેસે ત્યારે અમે પણ અમારો અભિપ્રાય આપવા માંગીએ છીએ.
કેજરીવાલ દ્વારા કરવામાં આવેલી આ માંગણીઓ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે તેમને અરજીનો જવાબ આપવા માટે સમયની જરૂર છે. ઇડી વતી ઝોહેબ હુસૈન કોર્ટમાં હાજર થયા હતા.સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે, ઈડીની નહીં. જો તેને કોઈ રાહતની જરૂર હોય તો તેમાં તમારી કોઈ ભૂમિકા નથી. તેના પર ઈડીએ કહ્યું કે અમે કહી રહ્યા છીએ કે જેલમાંથી રિપોર્ટ મંગાવવામાં આવે. જેલ અધિક્ષકને પૂછવું જોઈએ કે શું જેલ અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ કરવામાં કોઈ સમસ્યા છે? કોર્ટે ઈડીને કહ્યું કે અમે જેલ પાસેથી જવાબ માંગીશું. પરંતુ આમાં તમારી કોઈ ભૂમિકા નથી.
ઈડીના વકીલે કોર્ટને જણાવ્યું કે કેજરીવાલ દ્વારા ખાવામાં આવતા ખોરાકને લઈને કેટલીક ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી અને કોર્ટે ૨૨ એપ્રિલે મેડિકલ બોર્ડની રચના કરી હતી. આ વિનંતી તેમના દ્વારા અત્યાર સુધી કરવામાં આવી ન હતી. તેથી, જો અમને સંક્ષિપ્ત જવાબ દાખલ કરવાની મંજૂરી આપવામાં આવે તો કોઈ મોટી સમસ્યા ઊભી થશે નહીં. કોર્ટે કહ્યું કે અમે જેલ સત્તાવાળાઓ પાસેથી જવાબ માંગીશું. આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે. જામીન મામલે ૧૯ જૂને સુનાવણી થશે.
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ૨૧ માર્ચે એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ ઉપરાંત દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. કવિતા અને અન્ય લોકો ન્યાયિક કસ્ટડીમાં છે.
આ પહેલા ૫ જૂને કોર્ટે સીએમ કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો ઈક્ધાર કરી દીધો હતો. મુખ્યમંત્રીએ સ્વાસ્થ્યના કારણોસર ૭ દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધા હતા. ત્યારપછી, રૂઝ એવન્યુ કોર્ટમાં ૭ જૂને નિયમિત જામીન અરજીની સુનાવણી દરમિયાન, ED એ જામીન આપવાનો વિરોધ કર્યો હતો.કેન્દ્રીય તપાસ એજન્સીએ વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાને કહ્યું કે તેની પાસે સીએમ કેજરીવાલ વિરુદ્ધ ઘણા પુરાવા છે. જજે જામીન અરજી પર વધુ ચર્ચા માટે કેસની આગામી સુનાવણી ૧૪ જૂન સુધી મુલતવી રાખી છે. હાલમાં કેજરીવાલ ૧૯ જૂન સુધી જેલમાં છે.
દરમિયાન, ગયા અઠવાડિયે, દિલ્હીની એક અદાલતે આ કેસમાં ગુરુગ્રામ સ્થિત બડી રિટેલ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અમિત અરોરાને બે અઠવાડિયાના વચગાળાના જામીન આપ્યા હતા. સ્પેશિયલ જજ (ઈડી અને સીબીઆઇ કેસ) કાવેરી બાવેજાએ ૬ જૂને જારી કરેલા તેમના આદેશમાં જણાવ્યું હતું કે આરોપીની પત્નીનું ઓપરેશન થયું છે અને તેણે તેની કાળજી લેવાની જરૂર છે.
ન્યાયાધીશે કહ્યું કે આરોપીના વકીલ વિકાસ પાહવા વતી કહેવામાં આવ્યું છે કે આરોપીની પત્નીના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે જ્યારે તેની માતા ૭૨ વર્ષની છે અને મોહાલીમાં રહે છે. તેના બે ભાઈઓ બેંગલુરુ અને લંડનમાં રહે છે. નજીકમાં કોઈ સંબંધીઓ રહેતા નથી, તેથી તેમની યોગ્ય રીતે કાળજી લેવામાં સક્ષમ નથી. આવી સ્થિતિમાં આરોપીના જામીન મંજૂર થાય છે.