સાધુ સંસારથી અલગ હોવાથી સંપત્તિમાં અધિકાર માગી શકે નહીં : દિલ્હી હાઈ કોર્ટ

સંન્યાસ લીધા પછી સાધુઓ સંસારથી અળગા થઈ જાય છે એટલે તેઓ સંપત્તિમાં અધિકાર માગી શકે નહીં. દિલ્હી હાઈ કોર્ટે એક કેસનો ચુકાદો આપતાં આ રસપ્રદ તારણ રજૂ કર્યું છે. આ કેસ નાગા સાધુઓને લગતો છે. હાઈ કોર્ટે કહ્યું છે કે નાગા સાધુ સાંસારિક દુનિયા અને મોહમાયાથી દૂર રહે છે અને તેમનું જીવન સંપૂર્ણપણે વૈરાગી હોય છે. તેથી સંપત્તિમાં ભાગ માગવાની તેમની માગણી યોગ્ય નથી.

આ કેસમાં મહંત શ્રી નાગાબાબા ભોલાગિરિ દ્વારા દિલ્હીના ત્રિવેણી ઘાટ, નિગમબોધ ઘાટ તથા જમુના બજારની જમીન પોતાના નામે કરવાની માગણી કરવામાં આવી હતી. આ જમીન ૧૯૯૬થી પોતાના કબજામાં હોવાની દલીલના આધારે માગણી કરાઈ હતી જેનો સ્થાનિક તંત્ર દ્વારા વિરોધ કરાયો હતો. મામલો હાઈ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં બેન્ચે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો છે.