આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને એક મહિનાનું એક્સટેન્શન, કાર્યકાળ વધતા હવે ૩૦ જૂને નિવૃત્તિ લેશે

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને એક મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. વાત જાણે એમ છે કે, લોક્સભાની ચૂંટણી દરમિયાન આ એક ખૂબ જ અસામાન્ય પગલું છે. જનરલ પાંડે ૩૧ મેના રોજ નિવૃત્ત થવાના હતા પરંતુ હવે તેઓ ૩૦ જૂન સુધી આ પદ પર રહેશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, કેબિનેટની નિમણૂક સમિતિએ જનરલ પાંડેની સેવા એક મહિનાના વિસ્તરણને મંજૂરી આપી છે.

સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સેના નિયમો, ૧૯૫૪ના નિયમ ૧૬છ (૪) હેઠળ કેબિનેટની નિમણૂક સમિતિએ આર્મી ચીફ જનરલ મનોજ સી પાંડેની સેવામાં એક મહિનાનું વિસ્તરણ આપ્યું છે, જે તેમની નિવૃત્તિની તારીખ ૩૧ મે થી ૩૦ જૂન સુધી અસરકારક છે. નોંધનિય છે કે, આવો અવસર ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં માત્ર એક જ વાર આવ્યો છે. તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારે તત્કાલિન આર્મી ચીફ જનરલ જીજી બેવૂરનો સેવા સમયગાળો એક વર્ષ લંબાવ્યો હતો. સૈન્ય નિષ્ણાતોના મતે જનરલ બેવૂરને આપવામાં આવેલી સેવાના વિસ્તરણને કારણે લેફ્ટનન્ટ જનરલ પ્રેમ ભગત આર્મી ચીફ બન્યા વિના નિવૃત્ત થઈ ગયા હતા. જનરલ બેવૂર બાદ જનરલ ટીએન રૈનાની આ ટોચની પોસ્ટ પર નિમણૂક થવાની હતી. નિષ્ણાતોનું માનવું છે કે, જનરલ બેવૂરને આપવામાં આવેલા આ સવસ એક્સટેન્શને લેફ્ટનન્ટ જનરલ ભગતનો રસ્તો રોકી દીધો હતો.

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી જેઓ હાલમાં ’વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટાફ’ તરીકે સેવા આપી રહ્યા છે, તે જનરલ પાંડે પછી સૌથી વરિષ્ઠ અધિકારી છે. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી પછી સૌથી વરિષ્ઠ અધિકારી લેફ્ટનન્ટ જનરલ અજય કુમાર સિંહ છે જેઓ સધર્ન આર્મી કમાન્ડર છે. બંને સૈન્ય અધિકારીઓ લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી અને લેફ્ટનન્ટ જનરલ સિંહ ૧૯૮૪માં એનડીએમાંથી એક્સાથે પાસ થઈ ગયા હતા. જોકે જાણકારોના મતે જનરલ દ્વિવેદી આ પદ માટે મોટા દાવેદાર છે. જોકે તે સંપૂર્ણપણે સરકારની વિવેકબુદ્ધિ છે કે તે કોને સેના પ્રમુખ તરીકે નિયુક્ત કરે છે. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી પાસે ચીન અને પાકિસ્તાનની સરહદો પર બહોળો ઓપરેશનલ અનુભવ છે. તેમણે ફેબ્રુઆરીમાં લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમારનું સ્થાન લીધું અને સેનાના નાયબ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો.

જનરલ એમએમ નરવણેની નિવૃત્તિ પછી જનરલ પાંડેએ ૩૦ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ સેનાના ૨૯મા વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આર્મી ચીફનું પદ સંભાળતા પહેલા જનરલ પાંડે વાઇસ ચીફ તરીકે ફરજ બજાવતા હતા. તેમની કારકિર્દીમાં જનરલ પાંડેએ આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ તરીકે પણ સેવા આપી છે, જે ભારતની એકમાત્ર ત્રિ-સેવા કમાન્ડ છે. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમીના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. જનરલ પાંડે ડિસેમ્બર ૧૯૮૨માં ’કોર્પ્સ ઓફ એન્જિનિયર્સ’ (ધ બોમ્બે સેપર્સ)માં જોડાયા. તે ’કોર્પ્સ ઓફ એન્જીનિયર્સ’ના પ્રથમ અધિકારી છે જેમણે દળને કમાન્ડ કર્યું છે.