
મુંબઇ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે છેલ્લી પાંચ મેચમાં પાંચ જીત નોંધાવીને તેમના ટીકાકારોને ચૂપ કરી દીધા છે. આરસીબીની આ મજબૂત જીતમાં વિરાટ કોહલીની મોટી ભૂમિકા રહી છે, જેણે અત્યાર સુધી ૧૩ મેચમાં ૬૬૧ રન બનાવ્યા છે. વિરાટે માત્ર રન જ નથી બનાવ્યા પરંતુ પોતાના અનુભવના આધારે તે ટીમને ઘણી મદદ કરી રહ્યો છે. તે વ્યૂહરચના બનાવવામાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની સાથે રહે છે. વિરાટ કોહલીના આ વલણને જોઈને હરભજન સિંહે ફરીથી તેને આરસીબીનો કેપ્ટન બનાવવાની હિમાયત કરી છે.
હરભજન સિંહે કહ્યું કે વિરાટ કોહલીમાં આગામી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આગળ લઈ જવાનો ઉત્સાહ અને આક્રમક્તા છે. હરભજનના મતે, જો આરસીબી પ્લેઓફમાં ક્વોલિફાય ન થઈ શકે તો આ ટીમે ભારતીય ખેલાડીને કેપ્ટન બનાવવો જોઈએ. તો પછી વિરાટ કોહલીને કેપ્ટન કેમ ન બનાવાય. હરભજનના કહેવા પ્રમાણે, વિરાટ જાણે છે કે આરસીબીને કેવા પ્રકારની ક્રિકેટ રમવાની જરૂર છે. વિરાટ કોહલીએ ૨૦૧૩ થી ૨૦૨૧ સુધી આરસીબીની કેપ્ટનશીપ સંભાળી હતી અને આ દરમિયાન આ ટીમ એકવાર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. આરસીબી હજુ સુધી ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. હવે જોવાનું એ છે કે આરસીબી વિરાટને ફરીથી કેપ્ટન બનાવશે કે પછી તેઓ કોઈ યુવા ખેલાડી પર વધુ રોકાણ કરશે.
વિરાટ કોહલી કેપ્ટન હોય કે ન હોય, આ ખેલાડી કેપ્ટનને ચોક્કસ મદદ કરે છે. વિરાટ હંમેશા મુશ્કેલ પરિસ્થિતિઓમાં ફાફ ડુ પ્લેસિસ સાથે ઉભો જોવા મળે છે. આ સિઝનમાં વિરાટ કોહલીએ આરસીબીની બાગડોર સંભાળી છે. વિરાટ કેપ્ટનશિપના ટેગ વિના શાનદાર ક્રિકેટ રમી રહ્યો છે. વિરાટે લાંબા સમય બાદ આટલી આક્રમક બેટિંગ કરી છે. સ્પિનરોને આ ખેલાડીની નબળાઈ માનવામાં આવતી હતી પરંતુ વિરાટે આ સિઝનમાં સ્પિન બોલરો સામે પણ લગભગ ૧૪૦ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.