ફતેપુરા તાલુકાના આફવા કુવા માંથી ઝાલોદ તાલુકાના પાણીવેડ ગામની માનસિક અસ્થિર વૃદ્ધાની લાશ મળી આવી

  • પાણીવેડ ગામના રામુડીબેન બામણીયા લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા અને અકસ્માતે કુવામાં પડતા મોત નીપજ્યું હોવાનું અનુમાન.

ફતેપુરા, ફતેપુરા તાલુકામાં અવાર-નવાર કુવાઓ માંથી લાશો મળી આવવાના અગાઉ અનેક બનાવો બની ચૂકેલા છે. તેવી જ રીતે રવિવારના રોજ આશરે 75 વર્ષીય અજાણી વૃદ્ધાની લાશ આફવા ગામે કુવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.અને આફવા ગામે કુવામાંથી લાશ મળી હોવા બાબતે સુખસર પોલીસે સોશિયલ મીડિયામાં ઓળખ થતી થાય તે માટે મેસેજ વાયરલ કરાતાં કલાકોમાં મૃતક વૃદ્ધાની ઓળખ છતી થઈ હતી.

જાણવા મળેલ વિગતો મુજબ રવિવારના રોજ સવારના સુખસર પોલીસને આફવા ગામેથી જાણ કરવામાં આવી હતી કે, મોહનભાઈ કાળુભાઈ ડાંગી રહે.આફવા કુવા ફળિયાના માલિકીના કૂવામાં કોઈ સ્ત્રીની લાશ પડી હોવા બાબતે સુખસર પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે સુખસર પોલીસ તાત્કાલિક આફવા ગામે પહોંચી લાશને કુવાની બહાર કાઢી હતી. જ્યારે મૃતક મહિલા ની ઓળખ છતી નહીં થતાં સુખસર પોલીસે સોશિયલ મીડિયા દ્વારા મૃતક મહિલાની ઓળખ છતી થાય તે હેતુથી મેસેજ વાયરલ કર્યા હતા.ત્યારે કલાકો ની અંદર મૃતક વૃદ્ધાની ઓળખ છતી થઈ હતી.

મૃતક વૃદ્ધા ઝાલોદ તાલુકાના પાણીવેડ ગામના મોટા ધરા ફળિયાના વતની રામુડીબેન ખીમાભાઈ પુનાભાઈ બામણીયા ઉંમર વર્ષ 75 નાઓ લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા અને તેઓ અવાર-નવાર ઘરેથી ચાલી જતા હતા અને ફરીથી પાછા ઘરે આવી જતા હતા. પરંતુ શનિવારના રોજ ઘરના સભ્યો લગ્ન પ્રસંગમાં અન્ય ગામે ગયેલ હતા. તેવા સમયે રામુડીબેન બામણીયા ઘરે કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા. જ્યારે રવિવારના રોજ પાણીવેડ ગામના અતુલભાઈ પરમારનાઓએ મૃતક વૃધ્ધાના પુત્ર સુરેશભાઈને જણાવેલ કે તમારી માતા આફવા ગામે કુવામાં પડી જતા મરણ ગયેલ છે અને તેમની લાશ સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવેલ હોવાની હકીકત જાણતાં મૃતકના પુત્ર સહિત સ્વજનો સુખસર ખાતે દોડી આવ્યા હતા.

ઉપરોક્ત બાબતે મૃતક વૃધ્ધાના પુત્ર સુરેશભાઈ ખીમાભાઈ બામણીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અકસ્માત મોત અન્વયે નોંધ કરી લાશને સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવી હતી અને જ્યાં પી.એમ. બાદ લાશનો કબજો તેમના વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.