સિદ્ધારમૈયાએ મોદીને પત્ર લખ્યો, પ્રજ્વલને ભારત લાવવામાં મદદ કરો

બેંગલુરુ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કર્ણાટક સેક્સ સ્કેન્ડલને લઈને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે પ્રજ્વલ રેવન્ના સામેના ગંભીર આરોપોથી તમે વાકેફ હોવા જ જોઈએ. તેમના પર જે પણ આરોપો લાગ્યા છે તે દેશ માટે શરમજનક અને આઘાતજનક છે. કેન્દ્ર સરકારે ફરાર સાંસદને પરત લાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

સીએમએ વધુમાં લખ્યું કે, સાંસદ અને એનડીએના ઉમેદવાર પ્રજ્વલ ૨૭ એપ્રિલે દેશ છોડીને વિદેશ ભાગી ગયો હતો. તેઓ રાજદ્વારી પાસપોર્ટ દ્વારા મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલય અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પ્રજ્વલ રેવન્નાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવા સૂચના આપો.

સિદ્ધારમૈયાએ પત્રમાં એમ પણ કહ્યું કે હાલમાં એસઆઇટી આ મામલાની તપાસ કરી રહી છે. તેમને દેશમાં પાછા લાવવા ખૂબ જ જરૂરી છે, જેથી તેઓ કાયદા મુજબ તપાસનો સામનો કરી શકે.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે મંગળવારે પૂર્વ પીએમ દેવેગૌડાના ધારાસભ્ય પુત્ર એચડી રેવન્ના અને સાંસદ પૌત્ર પ્રજ્વલ રેવન્નાને નોટિસ પાઠવી હતી. રિપોર્ટ્સ અનુસાર, બંનેને તપાસ માટે એસઆઇટી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. જો કે, હાજર થવાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.તેમની વિરૂધ લુકઆઉટ નોટીસ પણ જારી કરાઇ છે. નોટિસ જારી થયા બાદ પ્રજ્વલ રેવન્નાએ સોશિયલ મીડિયા પર લખ્યું – હું પૂછપરછમાં સામેલ થવા માટે બેંગલુરુમાં નથી, તેથી મેં મારા વકીલ દ્વારા સીઆઇડી બેંગલુરુને જાણ કરી છે. સત્ય ટૂંક સમયમાં બહાર આવશે. તેમની નોકરાણીએ બંને નેતાઓ વિરુદ્ધ યૌન શોષણની એફઆઈઆર નોંધાવી છે. હાસનના હોલેનરસીપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રજ્વલના ૨૦૦થી વધુ વીડિયો વાયરલ થયા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વાયરલ વીડિયોમાં દેખાતી મહિલાઓ રડી રહી છે અને તેને બચાવવા માટે વિનંતી કરી રહી છે અને પ્રજ્વલ વીડિયો શૂટ કરી રહ્યો છે.