સરકારે કોઈની ચિંતા ના કરી. મફત વેકસિનના નામે કરોડો રૂપિયા કંપનીને ચૂકવ્યા,શક્તિસિંહ

અમદાવાદ, કોવિડ વેક્સીન બનાવનાર વિદેશી કંપનીની કબૂલાતથી વિશ્ર્વમાં ઉહાપોહ મચ્યો છે. કંપનીની કબૂલાત બાદ ભારતમાં પણ કોવિશિલ્ડ વેક્સીનને લઈને લોકોમાં વિવાદ ઉદભવ્યો છે. વિરોધ પક્ષે પણ સરકારને આડેહાથ લેતા વેક્સીનને લઈને સવાલ પૂછવામાં આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહે ભાજપ પર નિશાન સાધતા વેક્સીન મામલે સવાલ ઉઠાવ્યા છે.

કોવિશિલ્ડ વેકસિનને લઈ કોંગ્રેસ નેતા શક્તિસિંહે વેક્સીન મામલે ભાજપ અને કેન્દ્ર સરકારને ઘેરી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આપણા દેશમાં વેક્સીનના પેટા મીટરનો કોઈ ડેટા નથી. શક્તિસિંહનું કહેવું છે કે રાજ્યમાં દિનપ્રતિદિન હાર્ટએટેકના કેસો વધતા મેં સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ આ મામલે સરકાર બેદરકાર દેખાઈ રહી છે. સરકારે કોઈની ચિંતા ના કરી. મફત વેકસિનના નામે કરોડો રૂપિયા કંપનીને ચૂકવ્યા. દેશના તમામ લોકોને અપાયેલ કોવિશિલ્ડ વેક્સીનની આડઅસરો અંગે સરકાર તરફથી માહિતી આપવી જોઈતી હતી. આ મામલે સરકારની ભૂલ થઈ છે જેનો તેઓ સ્વીકાર કરતા નથી.

કંપનીએ સ્વીકાર કર્યું છે કે કોવિડ-૧૯ની રસથી કેટલીક આડ અસર થઈ શકે છે. કંપનીના આ સ્વીકાર સાથે ભારતમાં પણ વેક્સીન મુદ્દાનો મધપૂડો છંછેડાયો છે. કોવિડ સમયે લોકોના રક્ષણ માટે સરકાર તરફથી તમામ લોકોને કોવિશિલ્ડ રસી આપવામાં આવી. કોરોના રોગચાળા દરમ્યાન ભારતની સિરમ ઇન્સ્ટીયૂટ દ્વારા કંપનીના પ્રમાણપત્ર હેઠળની કોવિશિલ્ડ વેક્સીન ભારતના લોકોને સરકાર તરફથી મફત આપવામાં આવી હતી. યુકેમાં કંપની સામે વેક્સીનથી થતી હાર્ટએટેક અને મૃત્યુ જેવી ગંભીર આડઅસરોને લઈને કેસ ચાલી રહ્યો છે. જેમાં કંપનીએ સ્વીકાર કર્યું કે કોવિડ વેક્સીનથી લોહી ગંઠાઈ જવા તેમજ થ્રોમ્બોસિટોપેનિયા સિન્ડ્રોમ સાથે થ્રોમ્બોસિસ નામની દુર્લભ આડ અસર જોવા મળે છે. જો કે આ સાથે કંપનીએ એ પણ જણાવ્યું છે કે આવું કેટલાક કિસ્સામાં જ જોવા મળે છે.