સુપ્રીમ કોર્ટે પતંજલિને માનહાનિનો કેસ દાખલ કરવાની આપી મંજૂરી

નવીદિલ્હી, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આદેશનો અનાદર કરવા બદલ પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેના પર નિર્ણય આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની બેન્ચના બે જજો જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાએ કેસની સુનાવણી દરમિયાન આઇએમએને કેટલીક સલાહ પણ આપી હતી. જ્યારે પતંજલિ આયુર્વેદને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી ત્યારે આઇએમએને સારું લાગ્યું પરંતુ જ્યારે એ જ સુપ્રીમ કોર્ટે તેની ખામીઓ તરફ યાન દોર્યું ત્યારે આઇએમએને શરમ આવી.

વાત જાણે એમ છે કે,આઇએમએના પ્રમુખ ડૉ. આર.વી. અશોકને એક ઈન્ટરવ્યુમાં તો ત્યાં સુધી કહ્યું કે, સુપ્રીમ કોર્ટે બિનજરૂરી રીતે સલાહ આપી છે કારણ કે આ મામલો તેમની પાસે નહોતો. જ્યારે પતંજલિ આયુર્વેદનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલે આઇએમએ પ્રમુખના આ નિવેદનને સુપ્રીમ કોર્ટમાં સંભળાવ્યું તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે અને આઇએમએને આ માટે નુક્સાન વેઠવું પડશે. સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદને આઇએમએ પ્રમુખના નિવેદનને રેકોર્ડ પર રાખવાનો આદેશ આપ્યો હતો અને કોર્ટની અવમાનના માટે અરજી દાખલ કરવાની મંજૂરી પણ આપી હતી.

આઇએમએના પ્રમુખ ડૉ. આરવી અશોકે કહ્યું કે,આઇએમએ અને ડોક્ટરોની પદ્ધતિઓની ટીકા દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ સમક્ષ વાસ્તવિક મુદ્દો પતંજલિની જાહેરાતો સાથે સંબંધિત છે સમગ્ર તબીબી ક્ષેત્ર સાથે નહીં. તેમણે એમ પણ કહ્યું કે, આ સુપ્રીમ કોર્ટને શોભતું નથી. ડૉ. અશોકને કહ્યું, તમે કંઈ પણ કહી શકો પણ મોટાભાગના ડૉક્ટરો ઈમાનદાર હોય છે… નૈતિક્તા અને સિદ્ધાંતો પ્રમાણે કામ કરે છે. કોવિડ યુદ્ધમાં આટલું બલિદાન આપનાર દેશના તબીબી વ્યવસાય સામે કડક વલણ અપનાવવું કોર્ટને યોગ્ય નથી.

આઇએમએ પ્રમુખના આ નિવેદનને સુપ્રીમ કોર્ટે ખૂબ જ ગંભીરતાથી લીધું છે. જસ્ટિસ અમાનુલ્લાએ તો આઇએમએને ગંભીર પરિણામો માટે તૈયાર રહેવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટની બેન્ચે આઇએમએના વકીલને કહ્યું, તમે કોઈ સારું કામ કર્યું નથી અને તમે કેવી રીતે નક્કી કરી શકો કે કોર્ટ શું કરશે ?. બીજી તરફ પતંજલિ આયુર્વેદના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે,આઇએમએ પ્રમુખનું નિવેદન કોર્ટની કાર્યવાહીમાં સીધો હસ્તક્ષેપ છે. જ્યારે રોહતગીએ આઇએમએ પ્રમુખ સામે માનહાનિનો કેસ દાખલ કરવાની માગણી કરી તો સુપ્રીમ કોર્ટની બેન્ચે તેને મંજૂરી આપી. બેન્ચનું વલણ જોઈને લાગે છે કે, બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણ કરતાં આઇએમએ પ્રમુખને વધુ ઠપકાનો સામનો કરવો પડશે.