કાલિયાવાડના 5 આરોપીને લીમખેડા કોર્ટ દ્વારા 3 વર્ષની સજા ફટકારાઇ

  • આરોપીઓને ષડયંત્ર રચી હત્યાના પ્રયાસના ગુનામાં કોર્ટનો ચૂકાદોફ

દાહોદ, દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના કાલિયાવાડ ગામના 5 શખ્સોને લીમખેડા કોર્ટે ષડયંત્ર રચી હત્યા કરવાના પ્રયાસના ગુનામાં લીમખેડા કોર્ટે 3 વર્ષની સજા તથા 5 હજાર રૂપિયા દંડનો હુકમ ફરમાવતા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

ધાનપુર તાલુકાના કાલિયાવાડ ગામના અરવિંદ રાજહીંગ ભાભોરને 26 સપ્ટેમ્બર 2009ના રોજ કાલિયાવડના દલા નરસુ તડવી, માદા ચતુર રાઠોડ, મગન જોરસીંગ રાઠોડ, સબુર જોરસિંગ રાઠોડ, દિલીપ સબૂર રાઠોડ, મથુર મગન રાઠોડ સહિતના ષડયંત્ર રચી તલવાર તથા લાકડીઓથી હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે કાલીયાવડના રાકેશ વસના રાઠોડે લીમખેડા પોલીસ મથકમાં હુમલો કરનારા તમામ 6 વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે ફર્સ્ટ 153/09 નંબરથી આઈપીસી કલમ 307,120 (બી), 34 મુજબનો ગુનો નોંધી નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરી સંયોગીક પુરાવાઓ સાથે સમગ્ર કેસ લીમખેડાની સેશન્સ કોર્ટમાં તબદીલ કર્યો હતો. જેમાં દલા નરસુ તડવીનું મોત નીપજતા તેનું નામ એબેટ થયું હતું. જે કેસ લીમખેડાની સેશન્સ કોર્ટના જજ એમ.એ. મિર્ઝાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ.વી. તડવીની ધારદાર દલીલોને ધ્યાને લઈ લીમખેડા સેશન્સ કોર્ટે પાંચે આરોપીઓને 3 વર્ષની સાદી કેદની સજા તથા 5 હજારનો દંડ જો નહીં ભરે તો વધુ બે માસની સજાનો હુકમ ફરમાવ્યો હતો.