રામદેવને ઉત્તરાખંડ સરકારે મોટો ઝટકો આપ્યો, બાબાની કંપનીના ૧૪ ઉત્પાદકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયા

દેહરાદૂન, બાબા રામદેવને ઉત્તરાખંડ સરકારે ઝટકો આપ્યો છે. રાજ્ય નિયામક દ્વારા રામદેવની ફાર્મા કંપનીઓની ૧૪ પ્રોડક્ટ્સનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ ઉત્પાદકો વિશે વારંવાર ભ્રામક જાહેરાત પ્રકાશિત કરવાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે આ ઉત્તરાખંડના ડ્રગ રેગ્યુલેટરીએ ૧૫ એપ્રિલના આદેશ કર્યો હતો, પરંતુ તેને અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યો નથી. તો રામદેવના એક પ્રવક્તાએ કહ્યું કે આ મામલા પર તે કોઈ તત્કાલ પ્રતિક્રિયા આપશે નહીં.

ઉત્તરાખંડ સરકાર દ્વારા પતંજલિની દિવ્ય ફાર્મસીની જે વસ્તુ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેમાં- સ્વાસરી ગોલ્ડ, સ્વાસરી વટી, બ્રોંકોમ, સ્વાસરી પ્રવાહી, સ્વાસરી અવલેહા, મુક્ત વટી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ, બીપી ગ્રિટ, મધુગ્રિટ, મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર, લિવામૃત એડવાન્સ, લિવોગ્રિટ, પતંજલિ દ્રષ્ટિ આઈડ્રોપ, આઈગ્રિટ ગોલ્ડ. ઉત્તરાખંડ સરકારે એક એફિડેવિટમાં કહ્યું કે- તારીખ ૧૦ એપ્રિલ ૨૦૨૪ના રાજ્યના મુખ્ય સમાચાર પત્રોના માયમથી રાજ્યમાં સંચાલિત તમામ દવાઓની ફેક્ટ્રીઝને ડ્રગ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ, ૧૯૫૪ના શેડ્યૂલમાં દર્શાવેલ રોગોથી સંબંધિત જાહેરાત જાહેર ન કરવાના સંબંધમાં એક પબ્લિક નોટિસ જારી કરવામાં આવી હતી.

નોંધનીય છે કે ભ્રામક જાહેરાતોને લઈને છેલ્લા એક મહિનાથી સુપ્રીમ કોર્ટ દ્વારા રામદેવ અને તેમની ઔષધિ કંપની પતંજલિ આયુર્વેદને ફટકાર લગાવવામાં આવી છે. હવે ૩૦ એપ્રિલે આ મામલાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. હકીક્તમાં સર્વોચ્ચ ન્યાયાલય આઈએમએની ૨૦૨૨ ની એક અરજી પર સુનાવણી કરી રહ્યું છે. જેમાં કોવિડ વિરોધી રસીકરણ અભિયાન અને ચિકિત્સાની આધુનિક પદ્ધતિઓને બદનામ કરવાનું અભિયાન ચલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોર્ટે પાછલા મહિને રામદેવ, તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડને ભ્રામક જાહેરાતો પર તેમના આદેશોનું પાલન ન કરવા માટે જાહેરમાં માફી માંગવાનું કહ્યું હતું.