ગ્લોબલ ટાઈમ્સે લખ્યું,ભારતના પડોશીઓ તેનાથી દૂર જઈ રહ્યા છે

બીજીંગ, માલદીવની સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુ જીત બાદ ચીનના મીડિયા ગ્લોબલ ટાઈમ્સે ભારતની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. ગ્લોબલ ટાઈમ્સે તેના લેખમાં કહ્યું છે કે ભારત ’નેબરહુડ ફર્સ્ટ પોલિસી’ (પડોશી દેશોને પ્રાથમિક્તા આપવી) અનુસરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતનું વલણ ’નેબર ફર્સ્ટ પોલિસી’થી બદલાઈને ’ઈન્ડિયા ફર્સ્ટ’ થઈ ગયું છે.

ભારત જેટલો દક્ષિણ એશિયામાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરે છે, તેટલા જ તેના પડોશી દેશો તેનાથી દૂર જઈ રહ્યા છે. આનાથી સાબિત થાય છે કે ભારત દક્ષિણ એશિયાને બેકયાર્ડ માને છે. તે દક્ષિણ એશિયાના દેશો પર ભારત અને ચીન વચ્ચે પસંદગી કરવા દબાણ કરે છે.

શાંઘાઈ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર લુ જોંગીએ ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું કે માલદીવની સંસદીય ચૂંટણી એ વાતનો પુરાવો છે કે ત્યાંના લોકો હવે ભારતના આદેશોનું પાલન કરવા માંગતા નથી. તેમણે સ્વતંત્ર વિદેશ નીતિ પસંદ કરી છે. તે આથક અને સામાજિક વિકાસને પ્રાથમિક્તા આપે છે.

ગ્લોબલ ટાઈમ્સે તેના લેખમાં આગળ લખ્યું છે કે, ભારતના આક્રમક વલણના કારણે પાડોશી દેશોમાં ભારત વિરોધી ભાવનાઓ ઉભી થઈ રહી છે. ભારત-ચીન દુશ્મનો નહીં પરંતુ ભાગીદાર છે. માલદીવના લોકોએ પણ મુઈઝ્ઝુને ચૂંટ્યા છે કારણ કે તેમને લાગે છે કે ભારત માલદીવની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે, જેનાથી તેની સ્વતંત્રતા સામે ખતરો છે. માલદીવ ભારત અને ચીન બંને સાથે સારા સંબંધો જાળવી રાખવા માંગે છે.

માલદીવની ચૂંટણી તેમનો આંતરિક મામલો છે અને ચીન તેનું સન્માન કરે છે. પરંતુ કેટલાક પશ્ર્ચિમી મીડિયાએ આ ચૂંટણીઓને લાઇમલાઇટમાં લાવવાનું કામ કર્યું હતું. તેમણે કહ્યું કે આ ચૂંટણી વાસ્તવમાં ભારત અને ચીન વચ્ચેની હરીફાઈ છે. આ સિવાય ભારતના કેટલાક મીડિયા આઉટલેટ્સે પણ પોતાના રિપોર્ટમાં કહ્યું કે માલદીવનો ઝુકાવ ચીન તરફ વધી રહ્યો છે.

વાસ્તવમાં માલદીવમાં ૨૧ એપ્રિલે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુની પાર્ટીને પ્રચંડ બહુમતી મળી હતી. ૯૩ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં મુઈઝ્ઝુની પાર્ટી નેશનલ પીપલ્સ કોંગ્રેસ અને તેના સમર્થક પક્ષોને ૭૧ બેઠકો મળી હતી.જ્યારે ભારત તરફી એમડીપીને માત્ર ૧૨ બેઠકો મળી હતી. ચૂંટણીમાં જીત બાદ મંગળવારે મુઈઝ્ઝુનું નિવેદન પણ સામે આવ્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે પરિણામો પછી આંતરરાષ્ટ્રીય સમુદાયને ખબર પડશે કે માલદીવ તેની સંપ્રભુતા અને સ્વતંત્રતા સાથે ક્યારેય સમજૂતી નહીં કરે.

૧૫ નવેમ્બર ૨૦૨૩ના રોજ, માલદીવના નવા રાષ્ટ્રપતિ અને મોહમ્મદ મુઇઝુ, જેઓ ચીનના સમર્થક હોવાનું કહેવાય છે, તેમણે શપથ લીધા. ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. પરિણામ એ આવ્યું કે માલદીવે ત્યાં તૈનાત ૮૮ ભારતીય સૈનિકોને બહાર કાઢવાનો નિર્ણય કર્યો. તે બે હેલિકોપ્ટર અને એક એરક્રાટનું સંચાલન સંભાળતો હતો. હવે તેમની જગ્યા સામાન્ય નાગરિકો લેશે. સામાન્ય રીતે માલદીવમાં આ હેલિકોપ્ટરનો ઉપયોગ બચાવ કે સરકારી કામો માટે થાય છે. જાન્યુઆરીમાં માલદીવ સાથે બગડતા સંબંધો વચ્ચે વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને લોકોને ત્યાં પ્રવાસ માટે આવવાની અપીલ કરી હતી.