પદ્મ ડો પ્રવીણ દરજીએ મતદારોને અચૂક મતદાનની કરી અપીલ

મહીસાગર, લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મહીસાગર જીલ્લામાં મહત્તમ મતદાન થાય અને જીલ્લાના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ પર્વમાં સહભાગી બને તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં મતદાર જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે જીલ્લાના જાણીતા વ્યક્તિઓ પણ સામાજીક જવાબદારીના ભાગરૂપે મતદાર જાગૃતિ અંગે સંદેશ પ્રસરાવી રહ્યા છે. એમિરિટસ પ્રોફેસર અને 151થી વધુ પુસ્તકોના સાહિત્ય સર્જક પ્રસિદ્ધ સાહિત્યકાર પદ્મ ડો પ્રવીણ દરજીએ લોકશાહીના પર્વમાં અચૂક મતદાનની અપીલ કરતાં જણાવ્યું હતું કે આપ જાણો છો કે 7મી મે 2024ના રોજ લોકસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણી લોકશાહીનું સૌથી મોટું પર્વ છે આપણે એ પણ જાણીએ છીએ કે વિશ્ર્વનું સૌથી મોટું લોકતંત્ર ભારત છે, ભારતીય લોકશાહી છે. આપણે એ દેશના ગૌરવવંતા નાગરિકો છીએ નાગરિક તરીકે આપણને સૌને જે મતાધિકાર મળ્યો છે તેનો સાચો ઉપયોગ કરવાનો દિવસ એટલે ચૂંટણી મહોત્સવ. આવો આપણે એ દિવસે આપણા પવિત્ર મતનો અધિકારપૂર્વક ઉપયોગ કરીએ ઇચ્છિત સરકાર પસંદ કરી અને લોકશાહીના પાયાને વધુ મજબૂત કરીએ.