કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા

અમદાવાદ, થોડા દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તાએ કેસરિયા કરી લીધા છે. કોંગ્રેસે તેમને અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોક્સભાની ટિકિટ પણ આપી હતી. જો કે પહેલા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ ૨૧ માર્ચે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતુ.

લોક્સભા ચૂંટણીની ઘોષણા થઇ ગયા બાદ કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પર ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યુ હતુ. જો કે બાદમાં રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાથી સ્પષ્ટ ઇક્ધાર કરી દીધો હતો. પોતાના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણીનું મેદાન છોડ્યું હોવાનું કારણ આગળ ધર્યુ હતુ. બાદમાં કોંગ્રેસ પર અનેક આક્ષેપ લગાવીને રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી તમામ પદો પરથી રાજીનામુ આપી દીધુ હતુ. હવે આજે તેમણે દિલ્હીમાં ભાજપની એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપનો ખેસ પહેર્યો હતો. આ સાથે જ રોહન ગુપ્તાએ કોંગ્રેસ પર અનેક આક્ષેપ લગાવ્યા હતા. રોહન ગુપ્તાએ જણાવ્યુ કે, હું દેશ માટે કઇક કરવાની ભાવના સાથે ભાજપમાં જોડાયો છુ.વર્ષોથી જે પાર્ટીમાં રહ્યા હોય તે પાર્ટી કોઇ નેતા લાલચથી ન છોડે.તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ રાષ્ટ્રવાદ અને સનાતન ધર્મથી વિમુખ થઇ ગઇ છે.