દાહોદ જીલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાંનું જ્યારે એક વ્યક્તિને શરીરે ઈજાઓ પહોંચતાં દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે

દાહોદ,માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના કાળીતળાઈ ગામે અમદાવાદ-ઈન્દૌર હાઈવે પર બનવા પામ્યો હતો. જેમાં ગત તા.06 એપ્રિલના રોજ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા મિથુભાઈ સોમાભાઈ નિનામા (રહે. જેકોટ, છાયણઘાટી ફળિયું, તા. જી. દાહોદ) નાને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારતાં મોટરસાઈકલ પર સવાર મિથુનભાઈ અને રાહુલભાઈ બદિયાભાઈ મેડા બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં જેને પગલે રાહુલભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે મિથુભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેમને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે ઈજાગ્રસ્ત મિથુભાઈ સોમાભાઈ નિનામાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ લીમખેડા તાલુકાના ખીરખાઈ ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.25મી માર્ચના રોજ લીમખેડા તાલુકાના નિનામાના ખાખરીયા ગામે નિશાળ ફળિયામાં રહેતાં વિપુલભાઈ ગોકળભાઈ નિનામા પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે તેમજ ગફલત ભરી રીતે હંકારી લાવી ખીરખાઈ ગામેથી પસાર થઈ રહ્યાં હતા. તે સમયે રસ્તામાં કુતરૂ આવી જતાં વિપુલભાઈએ મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી. જેને પગલે વિપુલભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં વિપુલભાઈને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવતાં જ્યાં ગતરોજ સારવાર દરમ્યાન વિપુલભાઈનું મોત નીપજતાં આ સંબંધે ભરતભાઈ સોમાભાઈ ચૌહાણે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.