વડોદરા તેમજ અમદાવાદના બે ભેજાબાજોએ દાહોદના ચાર વ્યકિતને મેમ્બર બનાવી 10.30 લાખ જમા કરાવડાવી નંબર બંધ કરી છેતરપિંડી કરી

દાહોદ, બહાર પ્રવાસે જાઓ ત્યારે તમોને અમારી કંપની તરફથી રહેવાની તથા જમવાની સગવડ કરી આપવાની લાલચ આપી વડોદરા તથા અમદાવાદના બે ભેજાબાજ ઠગોએ પોતાના એજન્ટ મારફતે દાહોદના ચાર જણાને તેમની કંપનીના મેમ્બર બનાવી કંપનીના ખાતામાં તે ચારે જણા પાસેથી કુલ મળી રૂપિયા 10.30 લાખ જેટલી રકમ જમા ક કરાવડાવી તેમનો ટોલ ફ્રી નંબર આપ્યા બાદ તે બંને ઠગોએ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી છેતરપિંડી વિશ્ર્વાસઘાત કર્યાનુ સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

વડોદરાની પાર્ક પ્રિવેરા હોસ્પિટાલીટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક અને ડાયરેક્ટર રાહુલ ગુપ્તા તથા અમદાવાદના અલી અન્સારી તે બંને એ પોતાના એજન્ટ મારફતે ગત તારીખ 03-01-2021ના રોજ જાલત ગામે આવેલ અવંતિકા રિસોર્ટ ખાતે દાહોદની વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા અંકિતભાઈ ચંદ્રવદનભાઈ પંચાલ, કલ્પેશભાઈ ધીરજલાલ સોન્ડાગર, સચિન કુમાર શશીકાંતભાઈ મુનિયા તથા છાયાબેન ચિંતનભાઈ દાની એમ ચારે જણાને પોતાની કંપનીના મેમ્બર બનાવી અંકિતભાઈ ચંદ્રવદનભાઈ પંચાલ પાસેથી રૂપિયા 3,10,000/-, કલ્પેશભાઈ ધીરજલાલ સોન્ડાગર પાસેથી રૂપિયા2,40,000/-, સચિન કુમાર શશીકાંતભાઈ મુનિયા પાસેથી રૂપિયા3,15,000/-, તેમજ છાયાબેન ચિંતનભાઈ દાની પાસેથી રૂપિયા1,65,000/-1 અલગ અલગ રીતે પાર્ક પ્રીવેરા હોસ્પિટાલીટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ખાતામાં જમા કરાવડાવ્યા હતા અને ત્યારબાદ ઉપરોક્ત ચારેય જણાને ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો હતો. અને જણાવવામાં આવ્યું હતું કે તમોને જે તે જગ્યાએ પ્રવાસ જવાનું હોય ત્યાં તમોને રહેવા જમવાની સગવડ કંપની દ્વારા કરી આપવામાં આવશે. જેથી તમો પ્રવાસે જાવ ત્યારે રહેવા જમવાની સગવડ માટે આ ટોલ ફ્રી નંબર પર ફોન કરજો તેમ જણાવ્યું હતું. અને જ્યારે તેઓ પ્રવાસે ગયા અને રહેવા તથા જમવાની સગવડ માટે તેઓએ એજન્ટ દ્વારા આપવામાં આવેલ ટોલ ફ્રી નંબર પર ફોન લગાવ્યો ત્યારે ફોન સ્વીચ ઓફ આવતા તેઓએ તે કંપનીના ડાયરેક્ટર અને માલિક રાહુલ ગુપ્તા તેમજ અમદાવાદના અલી અન્સારીના નંબર પર ફોન લગાવતા તે બંનેના પણ ફોન સ્વીચ ઓફ આવતા દાહોદના ઉપરોક્ત ચારેય જણાને પોતે ઠગાયા હોવાનો અહેસાસ થતાં તેઓ ચાર પૈકીના દાહોદ વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા અંકિતભાઈ ચંદ્રવદનભાઈ પંચાલે કતવારા પોલીસ સ્ટેશનમાં આ સંબંધે ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે વડોદરા ના રાહુલ ગુપ્તા તથા અમદાવાદના અલી અન્સારી વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તે બંનેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.