દે.બારીઆ તાલુકામાં બે અલગ-અલગ અકસ્માતના બનાવોમાં બે વ્યકિતના મોત

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોતને પગલે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. બંન્ને બનાવો સંદર્ભે જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના પાણીવાસણ ગામે બનવા પામ્યો હતો. જેમાં ગત તા.03મી માર્ચના રોજ દેવગઢ બારીઆ તાલુકાના નવીબેડી ગામે નીશાળ ફળિયામાં રહેતાં ભોપતભાઈ મોહનભાઈ બારીઆ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પાણીવાસણ ગામે રોડ ઉપરથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી. જેને પગલે ભોપતભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન ભોપતભાઈનું ગત તા.31મી માર્ચના રોજ મોત નીપજતાં આ સંબંધે ગીરીશભાઈ જીવાભાઈ કોળીએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના મેન્દ્રા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.25મી માર્ચના રોજ દેવગઢ બારીઆના મેન્દ્રા ગામે ખેડા ફળિયામાં રહેતાં શ્યામસીંગભાઈ ઉર્ફે સોમાભાઈ ધનાભાઈ પરમારનો દિકરો પોતાના કબજાની મોટરસાઈકલ લઈ મેન્દ્રા ગામેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે સામેથી આવતી અન્ય એક મોટરસાઈકલના ચાલકે શ્યામસીંગભાઈ ઉર્ફે સોમાભાઈના દિકરાની મોટરસાઈકલને જોશભેર ટક્કર મારતાં યુવક મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેમને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમ્યાન ગત તા.31મી માર્ચના રોજ મોત નીપજતાં આ સંબંધે શ્યામસીંગભાઈ ઉર્ફે સોમાભાઈ ધનાભાઈ પરમારે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.