ચૂંટણી પ્રચાર માટે કોઈપણ ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ કરતું જાહેરનામું બહાર પડાયુ

મહીસાગર,ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચારસંહિતાનો અમલ કરવા ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે અંગેના નિયંત્રણ રાખવાની જરૂર છે. આથી, જીલ્લા મેજીસ્ટ્રેટ નેહા કુમારી દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144થી મને મળેલ સત્તાની રૂઈએ ફરમાવવામાં આવેલ છે કે, કોઈપણ મંદિર, મસ્જીદ, ચર્ચ, ગુરૂદ્વારા અથવા કોઈપણ ધાર્મિક/પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકશે નહીં. ધાર્મિક સંસ્થાઓ (દૂરઉપયોગ નિવારણ) અધિનિયમ-1988 હેઠળ ધાર્મિક સંસ્થાઓના ફંડ અને જગ્યાનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાતો નથી તેથી તે કાયદાનું અસરકારક રીતે પાલન કરવાનું રહેશે.

કોઈ પણ સ્થળે ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે તે સ્થળોએ કોઈ પણ જાતના ચુંટણી પ્રચાર માટેના બેનર લગાવવા નહીં. ચોપાનીયાં વહેચવા નહીં કે કોઈ પણ રાજકીય નેતાઓ કે આયોજકોએ ચુંટણી પ્રચાર માટે પ્રવચન કરવું નહીં. સભ્યો નોંધણી કરવી નહીં. ચુંટણી પ્રચાર માટેના સ્ટોલ રાખવા નહીં કે, ચુંટણી સંબંધી કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવુતિ કરવી નહીં, આ અંગે ભારતના ચૂંટણી આયોગની આદર્શ આચારસંહિતાનું પાલન કરવાનું રહેશે.

આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતા,1860 ની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે.મહીસાગર જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ પી સી કલમ-188 મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે