ધોરાવાડા ગામે પશુ ચરાવી ઘરે પરત ફરતા કેનાલમાં પાણી પીવા જતાં બાળકીનો પગ લપસી જતાં કેનાલમાં ડુબી

બાલાસિનોર,મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાની સુજલામ સુફલામ્ કેનાલમાં બાળકી ડુબી જતાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે મળતી વિગતો અનુસાર વિરપુર તાલુકાના ધોરાવાડા ગામથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાંચમા ધોરણમાં ભણતી બાળકી પશુ ચરાવી ઘરે પરત ફરતા કેનાલમાં પાણી પીવા જતાં પગ લપસી જતાં બાળકી કેનાલમાં ડુબી ગઇ હતી. કેનાલમાં બાળકી ડૂબતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. શનીવારના ચાર વાગ્યાની આસપાસ ઘટના બની હતી. ફાયર વિભાગ સહિત સ્થાનિક તરવૈયાઓ મોડી સાંજ સુધી બાળકીને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, કોઈ સફળતા મળી નહોતી બાળકી કલ્પનાબેન ભીખાભાઈ નટ બાબલીયા તા- ખાનપુર ગામની વતની છે. જેઓ હાલ વિરપુરના જમિયતપુરા પરીવાર સાથે રહેતા હોવાની માહિતી સામે આવી છે. બાળકી ચાર વાગ્યાની આસપાસ સમયે પશુ ચરાવી ઘરે પરત ફરી રહી હતી. તે દરમ્યાન કેનાલમાં પાણી પીવા જતાં બાળકીનો પગ લપસી જતાં બાળકી કેનાલના પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. જોકે, સ્થાનિકો દ્વારા વિરપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા વિરપુર પોલીસ સહિત ધટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર વિભાગ સહિતની ટીમો હાલ બાળકીને શોધખોળ શરૂ કરી દીધી છે, પણ સાંજ સુધી બાળકીનો કોઈ પત્તો ના મળતા પરીવારના માથે આભ ફાટ્યું હોય તેવી સ્થીતી સર્જાઈ છે. હાલ તો વિરપુર પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.