ત્રિપુરામાં મુખ્ય વિરોધ પક્ષે પક્ષ બદલ્યો,૨ ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા

અગરતલ્લા,ત્રિપુરામાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. મુખ્ય વિપક્ષી પાર્ટી ટીપ્રા મોથા પાર્ટી (ટીએમપી) એ પોતે જ પોતાનો માર્ગ બદલીને એનડીએ સરકાર સાથે ગઠબંધન કર્યું.એનડીએમાં સામેલ થયા બાદ ટીએમપીના બે ધારાસભ્યોએ પણ આજે મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્રિપુરાના રાજ્યપાલ નલ્લુ ઈન્દ્રસેન રેડ્ડીએ બંનેને પદના શપથ લેવડાવ્યા હતા.

આ સાથે ત્રિપુરામાં સીએમ માણિક સાહા સહિત ૧૧ મંત્રીઓ છે. ત્રિપુરામાં મંત્રી તરીકે શપથ લેનારા બે ટીએમપી ધારાસભ્યોમાં અનિમેષ દેબબર્મા અને બ્રિષ્કેતુ દેબબર્માનો સમાવેશ થાય છે. ટીએમપીનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ત્રિપુરાના સીએમ ડો. માણિક સાહાના કામથી પ્રેરિત થઈને તેમની પાર્ટી એનડીએમાં સામેલ થઈ છે.

તમને જણાવી દઈએ કે આઇપીએફટી પછી ટીપ્રા મોથા બીજેપી સાથે ગઠબંધન કરનાર બીજી પ્રાદેશિક પાર્ટી છે. આ પલટવાર બાદ ૬૦ સભ્યોની ત્રિપુરા વિધાનસભામાં એનડીએના સભ્યોની સંખ્યા વધીને ૪૬ થઈ ગઈ છે. જેમાં ભાજપના ૩૨ ધારાસભ્યો,ટીએમપીના ૧૩ અને આઇપીએફટીના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે નવી દિલ્હીમાં ટિપરા મોથા, ત્રિપુરા સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી પર હસ્તાક્ષર થયાના થોડા દિવસો બાદ આ રાજકીય પલટો આવ્યો છે.