ઝાલોદ નગરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આવવાના હોઈ દાહોદ જીલ્લા પોલીસ દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું

ઝાલોદ, તારીખ 07-03-2024 ગુરૂવારના રોજ બપોરના ત્રણ વાગે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આવવાના હોઇ તેને લઈ દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ કોંગ્રેસના આગેવાનો સાથે ઝાલોદ તાલુકામાં રૂટ નિરીક્ષણ કર્યું હતું.

સહુ પ્રથમ દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક તેમજ દાહોદ જીલ્લાના તમામ વિભાગના મોટા પોલીસ અધિકારીઓ અને કોગ્રેસના આગેવાનો સાથે ધાવડીયા ચેક પોસ્ટ ઉપર આવનાર વાહન અને તેને અનુલક્ષીને વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી. ત્યારબાદ જ્યાંથી ભારત જોડો ન્યાય યાત્રા જે રૂટ પર થી શરૂ થવાની છે, તે ઠુઠી કંકાસીયા ચોકડી ખાતેની વ્યવસ્થા તેમજ કંબોઈ ધામ ખાતે જ્યાં રાહુલ ગાંધી રાત્રી રોકાણ કરવાના છે ત્યાંની વ્યવસ્થા અંગે નિરીક્ષણ કરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. પોલીસ દ્વારા નગરમાં ચારે બાજુ પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિકને લઈ વ્યવસ્થા નિહાળી પોલીસ બંદોબસ્ત કરવામાં આવેલ હતો. નગરમાં રાહુલ ગાંધીના આગમન માટે ડી.વાય.એસ.પી. પટેલ દ્વારા પી.આઇ, પી.એસ.આઇ, એ.એસ.આઇ, એચ.સી, પી.સી, હોમગાર્ડ, જી.આર.ડી, ટી.આર. સહિતના કાફલાને બંદોબસ્ત માટે મૂકવામાં આવેલ છે. સાથે સાથે વોકીટોકી, દુરબીન, બોડીવાન કેમેરા, વિડિયો ગ્રાફર પણ આખી રેલી દરમ્યાન કાયદો વ્યવસ્થા સાચવશે.

ઝાલોદ પોલીસ દ્વારા ઠુઠી કંકાસીયા થી મુવાડા સુધીનો આખો હાઇવે માર્ગ ખુલ્લો કરાવવામાં આવેલ હતો. આ માર્ગ આજે ખૂબ પહોળો અને વિશાળ લાગતો હતો. ક્યાંય કોઈ ટ્રાફિક કે ટ્રાફિકને અડચણરૂપ પડે તેવું પાર્કિંગ જોવા મળતું ન હતું. નગરના લોકોની ચર્ચા મુજબ જો પોલીસ ધારે ત્યારે નગરને ટ્રાફિક લેસ બનાવી શકે છે. તેવી વાતોએ નગરમાં જોર પકડયું હતું