પંચમહાલ જીલ્લામાં આગામી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને લઈને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

  • પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રીજ્યામાં ઝેરોક્ષ અને ફેક્સ મશીન સદંતર બંધ રાખવા કરાયો હુકમ.

ગોધરા,પંચમહાલ જીલ્લામાં આગામી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને લઈને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કલમ 144 હેઠળ જાહેરનામું બહાર પડાયું છે. જેમાં જીલ્લાના તમામ કેન્દ્રોની નજીકમાં ઝેરોક્ષ મશીન, ઇલેક્ટ્રોનિક ઉપકરણ અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ અંગે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ પંચમહાલ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ -1973 ની કલમ 144 હેઠળ જાહેર હુકમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

જે અન્વયે કેન્દ્રોની નજીક ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકાશે નહી.આ વખતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પણ લાઉડ સ્પીકર પરીક્ષા કેન્દ્ર નજીક વગાડી શકાશે નહિ એ માટે સૂચના થતાં જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

જીલ્લા શિક્ષણાધિકારી પંચમહાલ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રના ગેટ પર તેમજ જાહેર જગ્યા પર કલમ 144ના જાહેરનામાની પ્રિન્ટ લગાવવા અને પ્રચાર પ્રસાર કરવા તમામ કેન્દ્ર પર સૂચના આપવામાં આવેલ છે. કેન્દ્રમાં આવેલ પ્રિન્ટર કે ઝેરોક્ષ મશીન પણ વધારાના રૂમમાં સીલ કરવા જણાવવામાં આવ્યું છે. આ સાથે વધારાના વર્ગો પણ સીલ કરવામાં આવશે.

સદર પરીક્ષાઓની વિશ્ર્વસનીયતા વધે અને તેજસ્વી વિધાર્થીઓને ન્યાય મળી રહે, પરીક્ષામાં ગેરરીતીઓથી પરીક્ષાર્થીઓને કોઇ અડચણ ન થાય તથા ગેરરીતીઓ અટકાવી શકાય અને સદર પરીક્ષા કેન્દ્ર સ્થળો પર બેસતા પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકશાન ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્ર સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવાની આવશ્યક્તાને ધ્યાને લઇ પંચમહાલ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એમ.ડી.ચુડાસમાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ઉક્ત પરીક્ષાઓના સમયગાળા દરમિયાન તા.11/03/2024 થી તા.26/03/2024 ના રોજ સવારના 09:00 કલાકથી સાંજના 07.00 કલાક સુધી પંચમહાલ જીલ્લાના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોમાં તેના માલિકો/સંચાલકો જાહેર પરીક્ષાને લગતા કોઈ પણ સાહિત્ય, પ્રશ્ર્નપત્ર, જવાબવહી તથા કાપલીઓની ઝેરોક્ષ નકલ કાઢી શકશે નહીં તથા ઉક્ત પરીક્ષાના સમય દરમિયાન ઉક્ત પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોના સંચાલકોને તેઓના ઝેરોક્ષ મશીનો બંધ રાખવા તથા સદરહું પરીક્ષા કેન્દ્રોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી હુકમ ફરમાવ્યો છે.

તદઅનુસાર, પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત માણસોએ ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં તેમજ કોઈ પણ ઈસમે કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/ કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ/વિક્ષેપ/ધ્યાન ભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું/કરાવવું નહીં તેમજ લાઉડસ્પીકર વગાડવા નહીં. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ વસ્તુ, મોબાઈલ, કેલ્ક્યુલેટર વગેરે જેવી ઈલેક્ટ્રોનિક આઈટમ તથા પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં જેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉક્ત પરીક્ષા કેન્દ્રોની ચતુર્દિશામાં ચોતરફ 100 મીટરની ત્રિજ્યામાં આવેલ તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તાર પ્રતિબંધિત રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે પંચમહાલ જીલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવતા અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.