’ફરાર’ જાહેર થયા બાદ જયા પ્રદા અચાનક કોર્ટમાં પહોંચ્યા,કસ્ટડી બાદ જામીન મળ્યા

રામપુર, પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા, ચૂંટણી આચાર સંહિતા ભંગ સંબંધિત બે કેસમાં ’ફરાર’ જાહેર કરવામાં આવ્યા હતા,યુપીની રામપુર કોર્ટમાં હાજર થયા હતા.જ્યાં તેમને શરતી જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે જયા પ્રદા વિરુદ્ધ જારી કરાયેલ વોરંટ પાછું ખેંચી લીધું હતું. વાસ્તવમાં, સોમવારે સુનાવણી દરમિયાન, જયા પ્રદા અચાનક કોર્ટમાં પહોંચી ગયા, ત્યારબાદ તેઓ સુનાવણી માટે જજ સમક્ષ હાજર થયા.

જયા પ્રદા ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં રામપુરથી ભાજપના ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં તે સમાજવાદી પાર્ટીના આઝમ ખાન સામે હારી ગયા હતા. જયા પ્રદા ૨૦૦૪ અને ૨૦૦૯માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર રામપુરથી લોક્સભામાં ચૂંટાયા હતા. પરંતુ બાદમાં પાર્ટીએ તેમને હાંકી કાઢ્યા હતા. આ મામલામાં વિશેષ સાંસદ-ધારાસભ્ય કોર્ટે અનેક વખત સમન્સ જારી કર્યા હતા પરંતુ પૂર્વ સાંસદ કોર્ટમાં હાજર થયા ન હતા. આ પછી તેની સામે સાત વખત બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ તેને કોર્ટમાં રજૂ કરી શકી ન હતી.

૨૭ ફેબ્રુઆરીએ કોર્ટે જયા પ્રદાને ’ફરાર’ જાહેર કર્યા હતા. તેમજ પોલીસને તેની ધરપકડ કરવા અને ૬ માર્ચે તેની સમક્ષ હાજર કરવા નિર્દેશ આપ્યો હતો. જયા પ્રદા તેમના વકીલો સાથે રામપુર પહોંચ્યા અને એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ શોભિત બંસલની કોર્ટમાં હાજર થયા.

આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે પહેલા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધા હતા. પરિણામ એ આવ્યું કે તેમને થોડો સમય કોર્ટના કઠેરામાં ઊભા રહેવું પડ્યું. વરિષ્ઠ પ્રોસિક્યુશન ઓફિસર અમરનાથ તિવારીએ કહ્યું- તેણીની (જયા પ્રદા)ની અરજીને યાનમાં રાખીને કે તેણીની તબિયત ખરાબ છે, કોર્ટે બાદમાં શરતી જામીન આપ્યા અને તેણીને ૨૦,૦૦૦ રૂપિયાની બે જામીન જમા કરાવવાનો આદેશ આપ્યો. જયા પ્રદાએ કોર્ટને ખાતરી આપી હતી કે તે દરેક સુનાવણી માટે તેની સમક્ષ વ્યક્તિગત રીતે હાજર રહેશે અને હાજરીમાંથી મુક્તિ માટેની કોઈ અરજી દાખલ કરવામાં આવશે નહીં.