આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક પરિવર્તનશીલ ટેક્નોલોજી છે,બિલ ગેટ્સ

નવીદિલ્હી, માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ પીએમ મોદીને મળ્યા હતા, તે પહેલા તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દિલ્હી ગયા હતા અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. બિલ ગેટ્સ ઈનોવેશન ફોર પબ્લિક ગુડ વિષય પર વિદ્યાર્થીઓ સાથે વાત કરવા આવ્યા હતા. તેમના સંબોધનમાં બિલ ગેટ્સે વિદ્યાર્થીઓને સામાજિક ભલાઈ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમમાં બિલ ગેટ્સે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક પરિવર્તનશીલ ટેક્નોલોજી છે. બિલ ગેટ્સની ઈવેન્ટમાં ૧,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને સમગ્ર આઇઆઇટી કેમ્પસના વિદ્યાર્થીઓ માટે આ ઈવેન્ટને યુટયુબ પર લાઇવ સ્ટ્રીમ પણ કરવામાં આવી હતી.

બિલ ગેટ્સ પીએમ મોદી સાથે પણ મુલાકાત કરી. પીએમમોદીએ બિલ ગેટ્સનાં વખાણ કરતાં સોશિયલ હેન્ડલ પર લખ્યું કે ખરેખર એક અદ્ભુત મુલાકાત! એવા ક્ષેત્રોની ચર્ચા કરવામાં હંમેશા આનંદ થાય છે જે આપણા ભારતને વધુ સારું બનાવશે અને વિશ્વભરના લાખો લોકોને સશક્ત બનાવશે.

બિલ ગેટ્સે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સૌથી ફાયદાકારક ટેક્નોલોજી છે.એઆઇનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવવા માટે તેમને કહ્યું કે જો હું આજે એક વિદ્યાર્થી હોત તો એઆઇના રહસ્યો મને આકર્ષિત કરશે. તેને કહ્યું કે અમે ટેક્નોલોજીને સારી રીતે સમજી શક્તા નથી, પરંતુ હું ચોક્કસપણે આ પ્રકારની ટેક્નોલોજી વિશે જાણવા માંગુ છું. તેમના સંબોધન દરમિયાન, બિલ ગેટ્સે સતત સ્વાસ્થ્ય અને વિકાસના પડકારોને સંબોધવામાં ઉભરતી તકનીકોની મહત્વપૂર્ણ ભૂમિકા સમજાવી. તેમને વેક્સિન નિર્માણમાં ભારતના કાર્ય, શિક્ષણ માટે એઆઇ અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક જાહેર જનતાની ભલાઈમાં ભારતના યોગદાન પર ભાર મૂક્યો હતો.

વિદ્યાર્થીઓને સંબોધતા બિલ ગેટ્સે કહ્યું, ‘હું આશા રાખું છું કે જેમ તમે આઇઆઇટી પછી તમારા ભવિષ્યની યોજના કરી રહ્યા છો, ત્યારે તમે ભારત અને સમગ્ર દુનિયામાં જીવન સુધારવા માટે અહીં જે કૌશલ્યો પ્રાપ્ત કર્યા છે તેનો ઉપયોગ કરશો. ‘તમે ફેરફાર કરી શકો તેવી ઘણી રીતો છે. તેમને કહ્યું, “ભારત અને વિશ્ર્વમાં વધુ સારા પરિવર્તન લાવવા માટે તમે જે કામ કરો છો તે જોઈને હું ઉત્સાહિત છું.